પાકિસ્તાન અને અફઘાનિસ્તાન શાંતિ મંત્રણાઃ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન યુદ્ધવિરામ જાળવવા સંમત થયા છે. તુર્કીના વિદેશ મંત્રાલય દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. અગાઉ એવું અહેવાલ હતું કે ઇસ્તંબુલમાં બંને દેશો વચ્ચે શાંતિ મંત્રણા નિષ્ફળ ગઈ છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, તુર્કી અને કતાર વતી જારી કરાયેલા એક નિવેદનમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને પક્ષો ૬ નવેમ્બરના રોજ ઇસ્તંબુલમાં યુદ્ધવિરામને અંતિમ સ્વરૂપ આપવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકમાં ફરી મળવાની યોજના ધરાવે છે.વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “બધા પક્ષો એક દેખરેખ અને ચકાસણી તંત્ર સ્થાપિત કરવા સંમત થયા છે જે શાંતિ જાળવી રાખશે અને કોઈપણ ઉલ્લંઘન કરનાર પક્ષ પર દંડ લાદશે.” તુર્કી અને અન્ય મિત્ર દેશોના નેતૃત્વમાં આ નવા રાઉન્ડની વાટાઘાટોનો હેતુ બંને પક્ષો વચ્ચે સરહદ પર તણાવ ઘટાડવાનો હતો. આ મહિનાની શરૂઆતમાં, બંને પક્ષોએ ગોળીબાર કર્યો હતો, જેમાં ડઝનેક સૈનિકો, નાગરિકો અને આતંકવાદીઓ માર્યા ગયા હતા.પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વાટાઘાટોના પાછલા રાઉન્ડની નિષ્ફળતાને કારણે મૌખિક  વાતચીત થઈ હતી, પરંતુ સરહદ પર શાંતિ જાવા મળી હતી. આ અઠવાડિયે બંને દેશો વચ્ચે સરહદી વિસ્તારોમાં કોઈ નવી અથડામણ થઈ નથી. જા કે, બંને દેશોએ મુખ્ય ક્રોસિંગ બંધ કરી દીધા છે, જેના કારણે બંને બાજુ માલ અને શરણાર્થીઓ વહન કરતા સેંકડો ટ્રકો ફસાયેલા છે.પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા મોહમ્મદ આસિફે જીઓ ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે શાંતિને બીજી તક આપવાનો નિર્ણય પાકિસ્તાન દ્વારા કતાર અને તુર્કીની વિનંતી પર લેવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન, પાકિસ્તાની પ્રતિનિધિમંડળને ઇસ્તંબુલમાં રહેવાનું કહેવામાં આવ્યું હતું. પાકિસ્તાની સરકારી ટેલિવિઝન અનુસાર, ઇસ્લામાબાદે કહ્યું કે વાટાઘાટો પાકિસ્તાનની મુખ્ય માંગ પર આધારિત હતી કે અફઘાનિસ્તાન આતંકવાદી જૂથો સામે અસરકારક કાર્યવાહી કરે.પાકિસ્તાન આતંકવાદી હુમલાઓમાં વધારા માટે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનને દોષી ઠેરવે છે. ઇસ્લામાબાદ કહે છે કે ૨૦૨૧ માં તાલિબાન સત્તામાં આવ્યા ત્યારથી આ જૂથને અફઘાનિસ્તાનમાં આશ્રય આપવામાં આવ્યો છે. કાબુલ નકારે છે કે તેની જમીનનો ઉપયોગ પાકિસ્તાન વિરુદ્ધ થઈ રહ્યો છે.