(એ.આર.એલ),ઇસ્લામાબાદ,તા.૧૯
પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ પ્રાંત ખૈબર પખ્તુનખ્વામાં મોડી રાત્રે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી, જેમાં ઓછામાં ઓછા ૯ આતંકવાદીઓ અને ૮ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટર ખૈબર જિલ્લાના તિરાહ મેદાન ખીણમાં આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન થયું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઓપરેશન દરમિયાન લશ્કર-એ-ઈસ્લામના બે મહત્વપૂર્ણ કમાન્ડર પણ માર્યા ગયા હતા. અથડામણમાં ૭ સુરક્ષા જવાનો અને ૬ આતંકીઓ ઘાયલ થયા છે. સુરક્ષા દળોએ ત્રણ અલગ-અલગ પોઈન્ટ પર પોતાની જાતને તૈનાત કરી દીધી હતી અને કેટલાક કલાકો સુધી ઓપરેશન ચાલુ રહ્યું હતું. સ્થાનિક સૂત્રોએ જણાવ્યું કે આ ઓપરેશનમાં નજીકના કેટલાક નાગરિકો પણ ઘાયલ થયા છે. સુરક્ષા દળોએ આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી તેજ કરી છે. ઓપરેશન ચાલુ રહેવાથી આ એન્કાઉન્ટરમાં મૃત્યુ અને ઈજાગ્રસ્તોની સંખ્યા વધી શકે છે.
હકીકતમાં, પાકિસ્તાનના અશાંત ઉત્તર-પશ્ચિમ પ્રાંત ખૈબર પખ્તુનખ્વામાં દરરોજ આવી ઘટનાઓ જાવા મળે છે. ગયા મહિને ચીન, રશિયા અને ઘણા દેશોના રાજદ્વારીઓ પર પણ આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓએ વિદેશી રાજદ્વારીના કાફલાને નિશાન બનાવ્યું હતું, જેમાં એક સુરક્ષા જવાન શહીદ થયો હતો. જા કે આ હુમલામાં વિદેશી રાજદ્વારીને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી.
થોડા દિવસો પહેલા પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક સ્ટેશન પર આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય નિશાને સુરક્ષા કર્મચારીઓ હતા. આ હુમલામાં ૧૭ સુરક્ષા જવાનો અને ઘણા નાગરિકો માર્યા ગયા હતા. માર્યા ગયેલા લોકોમાં મોટાભાગના પાકિસ્તાની આર્મીના ટ્રેનિંગ ઓફિસર હતા, જેઓ પોતાની ટ્રેનિંગ પૂરી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. બલૂચ લિબરેશન આર્મીએ હુમલાની જવાબદારી લીધી હતી. આ માનવ બોમ્બ દ્વારા કરવામાં આવ્યું હતું.