૨૩ ઓગસ્ટથી પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પૂરને કારણે ૫૦ લોકોના મોત થયા છે અને લગભગ ૪૦ લાખ લોકો પ્રભાવિત થયા છે. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી. તેમણે કહ્યું કે ૧૩ કરોડની વસ્તી ધરાવતા પ્રાંતમાં ઓગસ્ટના મધ્યભાગથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જેના પરિણામે લગભગ બધી નદીઓ અને ઉપનદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે.
પંજાબ પ્રાંતીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના મહાનિર્દેશક ઇરફાન અલી કાઠિયાએ અહીં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, “પંજાબમાં અત્યાર સુધીમાં પૂરથી લગભગ ૪૦ લાખ લોકો પ્રભાવિત/વિસ્થાપિત થયા છે. પૂરના પાણીમાં ફસાયેલા લગભગ ૧૮.૪ લાખ લોકો અને ૧૩.૪ લાખ પશુઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.”
કાઠિયાએ કહ્યું, “પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ૫૦ લોકોના મોત થયા છે અને મૃતકોના પરિવારોને ૧૦-૧૦ લાખ પાકિસ્તાની રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે.” તેમણે કહ્યું કે ત્રણ નદીઓ – રાવી, ચિનાબ અને સતલજ – ના પૂરના પાણીમાં ૩,૯૦૦ ગામો ડૂબી ગયા છે અને હજારો એકર પાકનો નાશ થયો છે.
કાઠિયાએ જણાવ્યું હતું કે સિયાલકોટ અને ગુજરાત સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓ છે અને પંજાબના વિવિધ વિભાગોમાં વધુ વરસાદની અપેક્ષા છે. તેમણે કહ્યું, “પૂરની સ્થિતિ ગંભીર છે, ગાંડા સિંહ વાલા, હેડ સુલેમાંકી, હેડ કાદિરાબાદ, ખાનકી અને મુહમ્મદવાલામાં પાણીનું સ્તર ખતરનાક સ્તરે પહોંચી ગયું છે.ડેટા અનુસાર, ૨૬ જૂનથી ૩૧ ઓગસ્ટ સુધીમાં, પંજાબ પ્રાંતમાં પૂરને કારણે ૨૦૯ લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે લાખો લોકો વિસ્થાપિત થયા છે.