પરીક્ષાના પેપર સારા નહીં જવાને કારણે અથવા તો પરિણામ આવી ગયા પછી નાપાસ થવાને કારણે વિદ્યાર્થીના આપઘાતની ઘટનાઓ વાલી જગત અને શિક્ષક જગત માટે પણ આત્મચિંતનનો વિષય છે કારણ કે શિક્ષણ એ માત્ર પરીક્ષામાં પાસ થવા માટે નથી હોતું. શિક્ષકે પોતાના છાત્રોને જીવનની ફિલોસોફી પણ શીખવવાની હોય છે. આજકાલના શિક્ષકો માત્ર પરીક્ષાલક્ષી શિક્ષણ આપીને છાત્રોનું અને સમાજનું ધોર નુકસાન કરી રહ્યા છે. લલ્લુ ટાઈપના શિક્ષકોને એ ખબર જ નથી કે પરીક્ષા એ શિક્ષણનું મુખ્ય ટાર્ગેટ નથી. માવતર હોય પણ પોતાના બાળકોને ભણાવતી વખતે પોતાનો મુન્નો કે મુન્ની પાસ થાય કે નાપાસ થાય બંનેને આનંદનો વિષય ગણીને તેની ઉજવણી કરવાની પ્રથા રાખવાની જરૂર છે. એમ માનવાનું કે મુન્નો કે મુન્ની ભલે પાસ ન થાય પણ આખું વરસ ભણવા જાય અથવા તો ક્યારેક ક્યારેક ભણવા જાય એ પણ ઘણું છે. એમાંથી જીવન માટે કંઈક ને કંઈક શીખવા મળે જ છે. નિશાળની પરીક્ષામાં નાપાસ થનારા અનેક છાત્રો મોટા થઈને જીવનની પરીક્ષામાં અવ્વલ નંબરે રહ્યા હોવાના અનેક ઉદાહરણ ઇતિહાસમાં અને વર્તમાનમાં અમર છે.એવું નથી કે આવી વાતો અગાઉ કોઈએ કહી નથી.
આ વાત જુદા જુદા શબ્દોમાં વારંવાર કહેવામાં આવી છે અને એ પણ બૌદ્ધિક લોકો દ્વારા કહેવામાં આવી છે. તેમ છતાં જોવા જેવી ખૂબી એ છે કે બૌદ્ધિક સમાજમાં જ પોતાના બાળકોને જાણે કે યોગ્ય રીતે ટ્રીટ કરવાની આવડત ન હોય તેમ એ લોકોના જ બાળકો મોટાભાગે આપઘાત કરે છે. એનું કારણ એ છે કે કહેવાતો બૌદ્ધિક સમાજ જ પોતાના બાળકોને ઊંચું ટાર્ગેટ આપે છે. સપનાઓ દેખાડે છે અને પછી એ સપનાઓ પૂરા કરવા માટે લક્ષ આપે છે. તારે આટલા ટકા લાવવા જ પડે નહિતર બાપાની આબરૂ ધૂળમાં મળી જશે. ભણજે નહિતર ભીખ માંગવાનો વારો આવશે. ટકા લાવજે નહિતર કોઈ કાકોય તારો ધણી નહીં થાય. આવા ટાર્ગેટ કહેવાતા બૌદ્ધિક સમાજના લોકો જ પોતાના બાળકોને આપી રહ્યા છે. બાકી કહેવાતો અભણ સમાજ અથવા તો ઓછું ભણેલો સમાજ પોતાના બાળકોને એયને મોજ-મજા કરાવે છે. કેટલાક કિસ્સામાં તો પોતાનું બાળક શું કરી રહ્યું છે અને ક્યાં ભણી રહ્યું છે એની પણ માવતરને ખબર હોતી નથી અને એવા માવતરના છોકરાઓ જ કોઈ ટેન્શન નહીં હોવાને કારણે ક્યારેક કુદરતી રીતે જ મેદાન મારી જાય છે. બાળકને ભણવા દો. કુદરતી રીતે ભણવા દો અને એને પોતાની ચોઈસ પ્રમાણે વિકસવા દો. આજના જમાનામાં વિદ્યાર્થીઓમાં પણ સ્પર્ધા અંગેની સભાનતા છે એટલે બાળક પોતાનું ટાર્ગેટ પોતાની રીતે નક્કી કરતો પણ થયો છે. બાળક પોતાની રીતે પોતાનું ટાર્ગેટ નક્કી કરે તો તેને જરૂર બિરદાવો પરંતુ કહો કે તું જે કરવા ધારે છે તે ન થાય તો કોઈ ટેન્શન લેતો નહીં, કાંઈ ન થાય તો અમે બેઠા છીએ.
naranbaraiya277@gmail.com