ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ મચી રહી છે. ગુજરાતમાં ત્રણ પોલિટિકલ પાર્ટીઓ એક્ટિવ થઈ ગઈ છે. કોંગ્રેસ અને આપના એક્ટિવ થવાથી ભાજપમાં પણ પરિવર્તનના ભણકારા વાગી રહ્યાં છે. ભાજપમાં પરિવર્તનના વાયરા ફૂંકાયા છે. ત્યારે ગમે તે ઘડીએ દિલ્હીથી પરિવર્તનનું બ્રહ્માસ્ત્ર છુટી શકે છે. આ વચ્ચે ગાંધીનગરમાં મોટી હલચલ થઈ છે. અચાનક મંત્રીઓના કામ કરવાની સ્પીડ વધી ગઈ છે. એટલું જ નહિ, આ સ્પીડ વચ્ચે બે મંત્રીઓ વચ્ચે તું તું મેં મેં થઈ હોવાના પણ અહેવાલ છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ અને ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે ગાંધીનગરમાં દોડધામ મચી છે. મંત્રીઓના કામમાં અચાનક સ્પીડ આવી ગઈ છે. કેટલાક અધિકારીઓની કામ કરવાની સ્પીડ વધી ગઈ છે. ગમે ત્યારે ઉપરથી ફરમાન આવે તે પહેલા પોતાના કામકાજ નિપટાવી દેવાના પ્રયાસોમાં હાલ બધા લાગ્યા છે.
મંત્રીમંડળનું વિસ્તરણ થાય ત્યારે ૮થી ૧૦ મંત્રીઓને પડતા મૂકાય તેવી ચર્ચા ચાલી રહી છે. જેને લઈને જે મંત્રીઓને પોતાની હકાલપટ્ટી થશે એવો ડર છે. તેથી પોતાની કેટલીક ફાઈલો અને મહત્વના કાગળોની સાફ સફાઈ કરવાનું કામ આ મંત્રીઓએ વધાર્યું છે. આંતરિક ચર્ચા મુજબ, સામાન્ય રીતે મંત્રીઓ સોમ, મંગળ અને બુધવાર સુધી જ સ્વર્ણિમ સંકુલ-૧માં પોતાના કાર્યાલયમાં રોકાતા હોય છે. ઉપરાંત સોમવારે મોટાભાગે ૧૨ વાગ્યાની આસપાસ આવતા હોય છે. પરંતુ બે અઠવાડહ્લયાથી ઘણા મંત્રીઓ સવારના ૧૦ વાગ્યે હાજર થઈ જતા હોય છે. એટલું જ નહીં, ગુરૂ અને શુક્રવારે પણ મોડી સાંજ સુધી પોતાના કાર્યાલયમાં કામ કરતા જોઈ શકાય છે.
એકવાર મંત્રીપદ ગયું તો કામ લટકી જશે, તેવા ડરથી મંત્રીઓએ છેલ્લા બે અઠવાડિયાથી વહેલા આવીને મોડા સુધી રોકાવાનું નક્કી કર્યું છે. ગાંધીનગરની ઓફિસોમાં ફટાફટ કામ પતી રહ્યાં છે. ગાંધીનગરમાં એક ચર્ચાને કારણે કાનાફૂસી શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રીની કેબિનેટ બેઠકમાં બે મંત્રીઓ આમનેસામને આવી ગયા હતા. આ મારું સાંભળતો નથી… તેવા સૂર સાથે એક મંત્રીએ બીજા મંત્રી પર બળાપો ઠાલવ્યો હતો. વાત વણસે તે પહેલા એક મંત્રીએ મધ્યસ્થી કરને મામલો થાળો પાડ્યો હતો તેવું જાણવા મળ્યું છે. હવે જોવું એ રહ્યું કે, કેબિનેટ ફેરબદલની જાહેરાત થશે તો કોણ કપાશે અને કોણ રહી જશે. પર્ફોમન્સ નબળું હોય તેવા નેતાઓના ખાતા બદલવા અંગે પણ નિર્ણયો લેવાઈ શકે છે.