રાહુલે આરોપ લગાવ્યો છે કે પીડિત પરિવારને ન્યાય મળી રહ્યો નથી અને ગુનેગારોને સરકાર દ્વારા રક્ષણ આપવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પટણામાં નીટ વિદ્યાર્થીના મૃત્યુ અને સાંસદ પપ્પુ યાદવની ધરપકડની ટીકા કરી છે. તેમણે સોશિયલ સાઈટ એકસ પર લખ્યું કે પટનામાં નીટના વિદ્યાર્થીનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ અને ત્યારબાદ થયેલી તપાસથી ફરી એકવાર સિસ્ટમમાં રહેલા ઊંડા સડોનો પર્દાફાશ થયો છે. દરમિયાન, પપ્પુ યાદવે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી. ત્યારબાદ તેમને પીએમસીએચથી ઇન્દીરા ગાંધી હાર્ટ ઇન્સ્ટીટ્યૂટમાં ખસેડવામાં આવ્યા. તેમણે કહ્યું કે જ્યારે પીડિતાના પરિવારે નિષ્પક્ષ તપાસ અને ન્યાયની માંગ કરી, ત્યારે એ જ જૂનું ભાજપ એનજીએ મોડેલ સામે આવ્યું – કેસને વાળવો, પરિવારને હેરાન કરવો અને ગુનેગારોને સત્તાનું રક્ષણ આપવું.
તેમણે કહ્યું કે સાથી સાંસદ પપ્પુ યાદવ આ પુત્રી માટે ન્યાય માટે અવાજ તરીકે મજબૂત રીતે ઉભા રહ્યા. આજની ધરપકડ સ્પષ્ટપણે જવાબદારીની માંગ કરતી કોઈપણ અવાજને ડરાવવા અને દબાવવા માટે રાજકીય બદલો લેવાનો પ્રયાસ છે.
તેમણે કહ્યું કે સૌથી ચિંતાજનક હકીકત એ છે કે આ ઘટના ફક્ત એક જ ઘટના સુધી મર્યાદિત નથી. આ એક ભયંકર ષડયંત્ર અને ખતરનાક પેટર્ન તરફ નિર્દેશ કરે છે, જ્યાં વધુ દીકરીઓ શિકાર બની રહી છે, જ્યારે શાસક પક્ષ આ ભયાનક સત્ય પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યો છે. આ રાજકારણ નથી, ન્યાયનો પ્રશ્ન છે. આ બિહારની દીકરીઓના સન્માન અને સલામતીનો પ્રશ્ન છે.
પ્રિયંકા ગાંધીએ આજે સવારે પપ્પુ યાદવ સાથે વાત કરી. પપ્પુ યાદવના એક સમર્થકે વાતચીત ગોઠવી. પ્રિયંકાએ પપ્પુ યાદવને સારા વકીલ રાખવાની સલાહ આપી. બાદમાં, પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા સાઇટ એકસ પર લખ્યું કે પટણા હોસ્ટેલમાં નીટની તૈયારી કરતી વિદ્યાર્થીની પર બળાત્કાર અને હત્યાનો બનાવ આઘાતજનક છે. કેસ પ્રકાશમાં આવ્યા પછી સરકારનો પ્રતિભાવ વધુ ભયાનક છે. એફઆઇઆર દાખલ કરવાથી લઈને તપાસ અને કાર્યવાહી સુધી, બધું જ શંકાના ઘેરામાં ઘેરાયેલું છે. આ બધું કોને બચાવવા માટે કરવામાં આવી રહ્યું છે?
તેમણે કહ્યું કે હાથરસ અને ઉન્નાવથી લઈને અંકિતા ભંડારી અને પટણા સુધી, જ્યાં પણ મહિલાઓ પર અત્યાચાર થાય છે, ત્યાં ભાજપ સરકારો પીડિતોને ન્યાય આપવાને બદલે આરોપીઓની સાથે ઉભી રહે છે. આ કેસમાં અવાજ ઉઠાવનારા સાંસદ પપ્પુ યાદવની ધરપકડ આ અસંવેદનશીલ વલણનું બીજું ઉદાહરણ છે. ભાજપ અને તેના સાથીઓનો એજન્ડા સ્પષ્ટ છેઃ તેઓ અન્યાય અને જુલમની સાથે ઉભા છે.
પપ્પુ યાદવને ઈન્દીરા ગાંધી હાર્ટ ઈન્સ્ટીટ્યૂટમાં ખસેડવામાં આવ્યા ૧૯૯૫ના એક કેસમાં ધરપકડ બાદ તેમની તબિયત બગડતા પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવને શનિવારે પીએમસીએચથી ઈન્દીરા ગાંધી હાર્ટ ઈન્સ્ટીટ્યૂટમાં ખસેડવામાં આવ્યા હતા.
૧૯૯૫થી કથિત જમીન વિવાદ કેસમાં હાજર ન થવા બદલ યાદવની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ કલમ ૪૧૯, ૪૨૦, ૪૬૮, ૪૪૮, ૫૦૬ અને ૧૨૦બી હેઠળ આવે છે અને તે ગર્દાનીબાગ પોલીસ સ્ટેશન સાથે જાડાયેલો છે. પટણાના એસપી સિટી ભાનુ પ્રતાપ સિંહે પત્રકારોને જણાવ્યું હતું કે આ ૧૯૯૫નો કેસ હતો જે જૂના આઈપીસી હેઠળ હતો, જેને હવે બીએનએસ (ભારતીય દંડ સંહિતા) દ્વારા બદલવામાં આવ્યો છે, જેમાં કલમ ૪૧૯, ૪૨૦, ૪૬૮, ૪૪૮, ૫૦૬ અને ૧૨૦બીનો સમાવેશ થાય છે.
તેમણે કહ્યું કે ધરપકડ આ કલમો હેઠળ કરવામાં આવી છે. આ કેસ ગરદાનીબાગ પોલીસ સ્ટેશન સાથે જોડાયેલો છે. કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી, અને સાંસદ હાજર થવાના હતા, પરંતુ તેઓ નિર્ધારિત તારીખે હાજર થયા ન હતા. તેથી, તેમની ધરપકડ કરવામાં આવી હતી.
જ્યારે પોલીસ તેમને કસ્ટડીમાં લેવા માટે પટણા સ્થિત તેમના ઘરે પહોંચી, ત્યારે શ્રી યાદવે તેમની સલામતી માટે ડર વ્યક્ત કર્યો. તેમણે પત્રકારોને કહ્યું, “મારી તબિયત સારી નથી… મને ખબર નથી કે મારું શું થશે.”









































