શહેરમાં પ્રેમ લગ્ન કરનાર એક મહિલાના જીવનનો કરુણ અંત આવ્યો છે. પતિના અવસાન બાદ માનસિક અને સામાજિક સંજાગોનો સામનો કરી રહેલી મહિલાએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી. આ ઘટના માત્ર પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે પણ ચિંતાજનક બની છે.
માહિતી મુજબ, મહિલાના પતિનું લગભગ ચાર મહિના પહેલાં અવસાન થયું હતું. પતિના નિધન બાદ મહિલા પોતાની બે વર્ષની દીકરી સાથે જીવન પસાર કરી રહી હતી. દરમિયાન, તેણે ઉમિયાધામ અતિથિગૃહમાં ઝેરી દવા પી લીધી હતી. ઘટનાના સમયે તેની બે વર્ષની દીકરી પણ તેની સાથે હાજર હતી.
પ્રેમ લગ્ન કર્યા હોવાથી મહિલાના પિયર પક્ષે અગાઉથી જ સંબંધો તોડી નાખ્યા હતા. મહિલાના મોત બાદ વધુ કરુણ સ્થિતિ ત્યારે સર્જાઈ જ્યારે પિયર પક્ષ અને સાસરિયા પક્ષમાંથી કોઈ પણ મૃતદેહ સ્વીકારવા તૈયાર ન હતું. મહિલાના પિતા તેમજ જેઠ બંનેએ શરૂઆતમાં જવાબદારી લેવાનો ઇન્કાર કર્યો હતો.પરિણામે, મહિલાનો મૃતદેહ ત્રણ દિવસ સુધી સુરતની સ્મિમેર હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવો પડ્યો હતો. સમગ્ર મામલે પોલીસ દ્વારા બંને પરિવારો સાથે સતત વાતચીત અને સમજાવટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આખરે પોલીસ અને સંબંધીઓના પ્રયાસો બાદ મહિલાના જેઠ મૃતદેહ સ્વીકારવા તેમજ બે વર્ષની દીકરીની જવાબદારી લેવા માટે તૈયાર થયા હતા. ત્યારબાદ અંતિમવિધિની પ્રક્રિયા આગળ વધારી શકાય તેવી Âસ્થતિ સર્જાઈ હતી. આ ઘટના પ્રેમ લગ્ન બાદ પરિવારિક તિરસ્કાર, સામાજિક એકલતા અને માનસિક સંઘર્ષ જેવા મુદ્દાઓ પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.