આપણે રેડક્રોસનું નામ તો બહુ સાંભળ્યું છે તેની વિશ્વવિખ્યાત સેવાઓ અંગે પણ બહુ સાંભળ્યું છે પરંતુ બહુ ઓછા લોકોને ખબર છે કે રેડક્રોસની સ્થાપના કઈ રીતે થઈ. બહુ ઓછા લોકોને ખબર છે કે મહાત્મા ગાંધી પણ એક સમયે રેડક્રોસના સ્વયંસેવક તરીકે કામ કરી ચૂક્યા છે. મહાત્મા ગાંધીને ભલે નોબેલ પ્રાઈઝ ન મળ્યું હોય પરંતુ ગાંધીજીએ જેમાં કામ કર્યું હતું તે રેડક્રોસને પાંચ પાંચ વખત નોબેલ પ્રાઈઝ મળી ચૂક્યું છે. ૧૮૫૯માં ઓસ્ટ્રીયન અને ફ્રેન્ચ લશ્કર વચ્ચે ભયંકર યુદ્ધ થયું. આ યુદ્ધમાં થયેલી માનવ ખુવારી જોઈને જીનીવામાં જન્મેલા જિન હેન્ડરીનું હૃદય દ્રવી ઉઠ્યું. એ સમયે એમણે ઘવાયેલા સૈનિકો અને લોકોની સારવાર માટે સ્થળ ઉપર કામચલાઉ રાહતના તમામ પ્રયત્નો શરૂ કરી દીધા હતા અને તેમની સાથે અનેક લોકો સ્વયંસેવક તરીકે કામમાં જોડાયા હતા. આવી પરિસ્થિતિમાં પીડિત લોકોને રાહત આપે તેવી કોઈ એક કાયમી સંસ્થા હોવી જોઇએ એવો જિન હેન્ડરીને વિચાર આવ્યો. તેઓએ “સેલ્ફ રિનોની સ્મૃતિ” નામનું પુસ્તક લખ્યું. આ પુસ્તક સમગ્ર યુરોપની પ્રજાએ વાંચ્યું અને આખરે તેની ચળવળ રંગ લાવી. તા. ૨૬/૧૦/૧૮૬૩ના રોજ યુરોપના ૧૪ દેશના પ્રતિનિધિઓ મળ્યા અને કરાર કર્યો જેના પરિણામ સ્વરૂપે ઘોર હિંસા સામે માનવતાનો છાંયડો આપનારી સંસ્થા રેડક્રોસની સ્થાપના થઇ. ત્યાર બાદ ભારતમાં આઝાદી પહેલાં ૧૯૨૦માં રેડક્રોસની સ્થાપના કરવામાં આવી.
આફ્રિકાના ઝુલું યુદ્ધમાં મહાત્મા ગાંધીએ પણ રેડક્રોસના સ્વયંસેવક તરીકે બચાવ અને રાહત કામગીરી કરી હતી. રેડક્રોસને પાંચ નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવી છે. ઇ.સ.૧૯૦૧માં ફાઉન્ડર જિન હેન્ડરી ડુનાન્ટને, ઇ.સ. ૧૯૧૭માં પ્રથમ વિશ્વયુદ્ધ વખતે, ઇ.સ.૧૯૨૨માં ડિટજોફ નાન્સેમ, ઇ.સ.૧૯૪૪માં બીજા વિશ્વયુદ્ધ વખતે અને ઇ.સ.૧૯૬૩માં રેડક્રોસને સો વર્ષ પૂર્ણ થયા ત્યારે નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. વિશ્વની આ એકમાત્ર સંસ્થા છે કે જેને પાંચ પાંચ નોબેલ પારિતોષિકથી સન્માનવામાં આવી હોય.
સૈનિકોની સુખાકારી માટે શરૂ થયેલી આ સંસ્થાએ સમય જતાં કુદરતી આપત્તિઓમાં સહાય તથા શાંતિ કાળમાં જન આરોગ્ય અને જનસુખાકારીના કાર્યો શરૂ કર્યા. વિચારવાદ કે સંપ્રદાયથી પર રહીને આ માનવતાવાદી સંસ્થા કોઇપણ પ્રકારના ભેદભાવ વગર માનવતા, ભેદભાવ રહિતતા, તટસ્થતા, સ્વતંત્રતા, સ્વૈચ્છિક સેવા, એકતા અને વૈશ્વિકતા જેવા સાત મૂળભૂત સિદ્ધાંતો સાથે કામ કરતી સંસ્થા છે.