કુલમન ઘીસિંગ, ઓમ પ્રકાશ આર્યલ અને રામેશ્વર ખાનાલે રાજધાની કાઠમંડુમાં નેપાળી રાષ્ટ્રપતિ ભવન ‘શીતલ નિવાસ’ ખાતે મંત્રી તરીકે શપથ લીધા
નેપાળમાં વિરોધ પ્રદર્શન, ભારે હિંસા અને કેપી શર્મા ઓલીના પીએમ પદ પરથી રાજીનામા પછી, હવે ધીમે ધીમે શાંતિ પુનઃસ્થાપિત થઈ રહી છે. નેપાળની સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કીએ દેશના નવા વડા પ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો છે. નેપાળમાં કાર્યકારી સરકારની રચના પછી, વડા પ્રધાન સુશીલા કાર્કીએ સોમવારે તેમના મંત્રીમંડળમાં ત્રણ પ્રધાનોનો સમાવેશ કર્યો છે. સોમવારે સવારે કુલમન ઘીસિંગ, ઓમ પ્રકાશ આર્યલ અને રામેશ્વર ખાનાલે મંત્રી તરીકે શપથ લીધા છે. ચાલો જાણીએ કે આ બધાને કયું મંત્રાલય સોંપવામાં આવ્યું છે.
સોમવારે નેપાળના વચગાળાના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું, જેમાં ત્રણ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કુલમન ઘીસિંગ, ઓમ પ્રકાશ આર્યલ અને રામેશ્વર ખાનાલે રાજધાની કાઠમંડુમાં નેપાળી રાષ્ટ્રપતિ ભવન ‘શીતલ નિવાસ’ ખાતે મંત્રી તરીકે શપથ લીધા છે. કુલમન ઘીસિંગને ઉર્જા, શહેરી વિકાસ અને ભૌતિક માળખાકીય સુવિધાઓ મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે. ઓમ પ્રકાશ આર્યલ કાયદા અને ગૃહ મંત્રાલયનો હવાલો સંભાળશે અને રામેશ્વર ખાનાલ નાણાં મંત્રાલયનો હવાલો સંભાળશે.
સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને કથિત ભ્રષ્ટાચાર સામે નેપાળમાં જનરલ-ઝેડ યુવાનો દ્વારા વ્યાપક વિરોધ પ્રદર્શનો યોજવામાં આવ્યા હતા. જા કે, વિરોધ પ્રદર્શન પર પોલીસે ગોળીબાર કર્યા બાદ મોટી સંખ્યામાં યુવાનોના મોત થયા હતા, જેના પછી હિંસા ફાટી નીકળી હતી. આ પછી, મંગળવારે વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. તમને જણાવી દઈએ કે જનરલ-ઝેડ એ પેઢી છે જેનો જન્મ ૧૯૯૭ થી ૨૦૧૨ ની વચ્ચે થયો હતો. આ તે યુવા પેઢી છે જે ટેકનોલોજી, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા સાથે ઉછરી છે.
નેપાળમાં ચાલી રહેલી રાજકીય અનિશ્ચિતતા વચ્ચે, જનરલ-ઝેડના પ્રતિનિધિઓ દ્વારા સુશીલા કાર્કીને વચગાળાના વડા પ્રધાન તરીકે ચૂંટવામાં આવ્યા છે. રવિવારે, સુશીલા કાર્કીએ નેપાળના પ્રથમ મહિલા વડા પ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો. પદ સંભાળ્યા પછી, વડા પ્રધાન સુશીલા કાર્કીએ જાહેરાત કરી છે કે નેપાળમાં ૫ માર્ચ, ૨૦૨૬ ના રોજ નવી ચૂંટણીઓ યોજાશે.








































