દુનિયાના લગભગ પંચાવન દેશોમાં મૃત્યુદંડની સજા અમલી છે. એવું મનાય છે કે ચીન એમાં સૌથી વધુ આ સજાનો ઉપયોગ કરતો દેશ છે. જો કે ચીનના સત્તાવાર આંકડાઓ ક્યારેય જાણી શકાતા નથી. ગત વર્ષની બે ઘટનાઓમાં ચીને બે બેંક અધિકારીઓને ફાંસીની સજા ફટકારી દીધી હતી. બેન્ક ઓફ ચાઇનાના ભૂતપૂર્વ ચેરમેન લિઉ લિયાંગને ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસરની લોન ફાળવણીના કૌભાંડમાં મોતની સજા ફટકારવામાં આવી હતી. તેણે લગભગ ૧૬૦ કરોડ રુપિયાની લાંચ લીધી હોવાનું પુરવાર થયું હતું. બીજા એક કેસમાં ચાઇના હુરોંગ ઇન્ટરનેશનલ હોલ્ડિંગના ભૂતપૂર્વ જનરલ મેનેજર બૈ ટિયાન્હુઇને લાંચ લેવા બદલ ફાંસીની સજા ફટકારી હતી. બૈ ટિયાન્હુઇને કોર્ટે ૧૫ કરોડ ડોલરની લાંચ લેવા બદલ મોતની સજા ફટકારી હતી. તેની બધી જ સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. ચીનમાં આ ખાસ બાબત છે કે તે ભ્રષ્ટાચારીઓને ફાંસીના માંચડે લટકાવી દે છે. એમાંથી રાજનેતાઓ પણ બાકાત નથી. એનો મતલબ એ નથી કે ચીનમાં ભ્રષ્ટાચાર નથી, પણ ભ્રષ્ટાચાર બદલ સજા થાય છે એ ચોક્કસ છે. આપણે ત્યાં ઉલટું છે, લાંચ બદલ મોતની સજા થાય એવું ભારતમાં માનવામાં આવે નહિ. ભારતમાં સામાન્ય અવધારણા એવી છે કે જે લાંચ લેતા પકડાય છે તે લાંચ આપીને છૂટી જાય છે. ખાસ કરીને નેતાઓના કેસમાં કૌભાંડ બદલ સજા ન થવી, બાઇજ્જત છૂટી જવું, આમ બાબત છે. ભારતમાં કૌભાંડી નેતાઓનું ચૂંટાઈ જવું આમ બાબત છે. દેશની જનતા એવું સ્પષ્ટ માને છે કે કોઈ નેતા અગર કૌભાંડ કરે છે, દેશને આર્થિક, સામાજિક નુકસાન પહોચાડે છે તો એ તેની કોઈ મજબૂરી રહી હશે. હિન્દુસ્તાનમાં જેલમાં બેઠેલા ગુંડાઓ ચૂંટાઈ જવા પણ સ્વાભાવિક છે. જેલમાં બંધ હોવાથી કોઈનો સમાજસેવા કરવાનો અધિકાર રોકી શકાય નહિ એવું આપણું લોકતંત્ર માને છે. જેલમાં રહેલો બુટલેગર સાત વોર્ડમાંથી કોર્પોરેશન ચૂંટણી જીતી જવાનો રેકોર્ડ પણ આપણી પાસે છે. જામીન પર છુટેલી વ્યક્તિ દેશનો વડોપ્રધાન બનવાનું સ્વપ્ન જોઈ શકે એટલી આઝાદી અને પરિપક્વ લોકશાહી સુધી આપણે પ્રગતિ કરી ગયા છીએ. અને જો કદાચ થોડા ઘણા સમય માટે જેલયોગ થાય, તો પણ કોઈ પરિવારજનને ગાદી સોંપીને જેલ જવાની સહૂલિયત આપણું લોકતંત્ર આપે છે. બિહારના મુખ્યમંત્રી લાલુ યાદવ સામે ચારાચોરીના આરોપો સિદ્ધ થયા બાદ જેલવાસ થયો તો એ પોતાની પત્ની રાબડીદેવીને મુખ્યમંત્રી તરીકે મુકતા ગયા હતા. એટલે કહેવાતું હતું કે ‘ગાય ઘાસ ખાતી હૈ તો દૂધ દેતી હૈ, લાલુ ચારા ખાતા હૈ તો રાબડી દેતા હૈ…’
પક્ષના કાર્યકર્તાઓ બે વખત ભ્રષ્ટાચારના આક્ષેપો બદલ શેરીઓમાં દેખાવો કરવા ઉતરે છે. પહેલી વખત જયારે સામાવાળા પક્ષ કે પક્ષના નેતા પર ભ્રષ્ટાચાર કે કૌભાંડના આક્ષેપો થાય ત્યારે વિરોધમાં અને બીજી વખત જયારે પોતાના પક્ષ અને નેતા પર ભ્રષ્ટાચાર કે કૌભાંડના આક્ષેપો થાય ત્યારે તેના સમર્થનમાં કાર્યકર્તાએ બજારમાં આવવું પડે છે. બંનેમાંથી એકપણ વખત દેખાવ કરવા ઉતાર્યાના ઉદ્દેશોની એમનામાંથી ઘણાને ખબર નથી હોતી એ બીજી વાત છે. આ હિન્દુસ્તાનની રાજનીતિની તાસીર અને પક્ષના કાર્યકર્તાની પ્રાથમિક ફરજ છે. ભ્રષ્ટાચાર કરવા બદલ જેલ થયેલ અને બાદમાં જામીન પર છૂટેલો નેતા બીજા નેતાઓને ભ્રષ્ટાચાર બદલ ભાંડી શકે છે. પોતાની સરકાર આવશે ત્યારે સામાવાળા બધાને જોઈ લેશે એવી ધમકીઓ પર ઉતરી આવે છે. દેશની સુપ્રીમ કોર્ટે જેના પર ક્રિમીનલ કેસ ચલાવવાનું સંજ્ઞાન લીધું છે, એવા દેશના વરિષ્ઠ નેતા આખા દેશમાં ફરીને બીજા બધા નેતાઓ અને બે ત્રણ ઉદ્યોગપતિઓને ચોર કહી શકે છે. હિન્દુસ્તાનમાં રાજનેતાઓ માટે ચોતરફની સ્વતંત્રતા અમર્યાદ છે. ચૂંટણી નામાંકન રજૂ કરતી વખતે જ ઉમેદવારે પોતાની બધી અંગત બાબતો સોગંદનામા દ્વારા જાહેર કરવી પડતી હોય છે. મીડિયાના માધ્યમો આ બાબતો ખોદીને જનતા સમક્ષ રાખે પણ છે. પણ ચૂંટાઈ જવામાં આ બાબત બાધા બનતી નથી. આ બધા ચરિત્રો બહાર આવવા છતાં એમના ચૂંટાવાની ગેરંટી છે. જ્યાં સુધી તમે સત્તા પર છો ત્યાં સુધી તમારા કૌભાંડ તમે ઢાંકી શકો છો. એજન્સીઓ પર તમારો અંકુશ હોય છે. એ માત્ર કહેવાની અને પ્યોર રાજકીય વાત છે કે કેન્દ્રીય એજન્સીઓ સ્વતંત્ર છે. બધા તેનો દુરુપયોગ કરે જ છે. સત્તા પરથી ઉતર્યા બાદ, તમારા પછી જે આવેલો છે એ તમારો ભૂતકાળ ખોદે છે, તમને દફન કરી દેવા માટે. સત્તા સિંહની સવારી છે, જયારે તમારે કૌભાંડો કર્યા બાદ સત્તા છોડવી પડે ત્યારે ખાસ. આ રાજનીતિનું પ્રારબ્ધ હોય છે. તમે સત્તા પર હતા ત્યારે એ જ કર્યું હતું. એક ચાર્જશીટથી સમસમી ગયેલા પક્ષ અને પક્ષના નેતાઓએ એ ભૂલવું ન જોઈએ કે સામાવાળાઓએ ઘણી બધી કલાકો તમારી કેન્દ્ર સરકારની એજન્સીઓના બંધ અંધારા કમરામાં જવાબ ભર્યા છે. એ એજન્સીઓ કેટલા કામની છે, કઈ રીતે હથિયાર તરીકે વાપરી શકાય છે, એ બહેતર જાણે છે. નંબર વન અને નંબર ટુ બંને તમારા નિશાના પર લાંબો સમય રહેલા છે. તમે ફેંકેલા પથ્થરોને એણે હથિયાર બનાવ્યા છે. એણે જેમ બે દાયકા કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરીને પાર ઉતરેલ છે, તેમ તમારે પણ કરવું જોઈએ. production@infiniumpharmachem.com