ભારત-પાકિસ્તાન સરહદ પર વધતા તણાવને ધ્યાનમાં લઈને ગુજરાત રાજ્ય સરકાર સક્રિય બની છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો સાથે ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી વીડિયો કોન્ફરન્સ યોજી સંભવિત પરિસ્થિતિ માટેની તૈયારી અંગે સમીક્ષા કરી હતી. આ બેઠકમાં જિલ્લાવાર સ્થિતિની ચર્ચા સાથે ચોક્કસ માર્ગદર્શનો પણ આપવામાં આવ્યા.

ગુજરાતને પાકિસ્તાન સાથે ૫૧૨ કિલોમીટરની જમીન સરહદ છે. કચ્છ, પાટણ અને બનાસકાંઠા જેવા સરહદી જિલ્લાઓમાં આવેલા લગભગ ૭૮ ગામો માટે તંત્રએ વિશેષ તકેદારીના પગલા શરૂ કરી દીધા છે. સુરક્ષા દળો સહિત બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને આર્મીને એલર્ટ મોડ પર મૂકાયા છે. ખાસ કરીને ભુજના ખાવડા વિસ્તારમાં થયેલી ડ્રોન વિસ્ફોટની ઘટનાના પગલે ગૃહ વિભાગે સુરક્ષા વ્યવસ્થાની ફરી સમીક્ષા કરી છે.

રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ મોડી રાત્રે ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી વિસ્તૃત સમીક્ષા બેઠક યોજી હતી. તમામ જિલ્લાઓના પ્રશાસનને સતર્ક રહેવા તેમજ તાકીદે જરૂરિયાત મુજબના સંસાધનો ઉપલબ્ધ રાખવા સૂચના આપવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા રાજ્યના મુખ્ય એરપોર્ટ્‌સ પર પણ કડક પગલાં લેવામાં આવ્યા છે. અમદાવાદ, ભુજ, જામનગર, પોરબંદર, કેશોદ અને રાજકોટ જેવા એરપોર્ટ પર વિઝિટર્સ એન્ટ્રી પર પ્રતિબંધ મૂકાયો છે. અમદાવાદમાંથી આવતી ૨૨ જેટલી ફ્લાઈટો રદ કરવામાં આવી છે. સીઆઇએસએફ દ્વારા તમામ એરપોર્ટ્‌સ પર થ્રી-લેયર સુરક્ષા વ્યવસ્થા અમલમાં મૂકાઈ છે અને સતત પેટ્રોલિંગ શરૂ કરાયું છે.

રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે, આગામી સમયમાં નાગરિકોની સુરક્ષા માટે વધુ મહત્વપૂર્ણ નિર્ણયો લેવાશે. રાજ્યના ગૃહ વિભાગે યુદ્ધસજ્જ પરિસ્થિતિમાં નાગરિકોએ શું કરવું અને શું ટાળવું તે અંગેની માર્ગદર્શિકા પણ બહાર પાડી છે. નાગરિકોને અફવાઓથી દૂર રહી સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા સરકાર તરફથી અપીલ કરવામાં આવી છે.