રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની અસરકારક અમલવારી સુનિશ્ચિત કરવા તેમજ સ્થાનિક પોલીસ સ્તરે જોવા મળતી ઢીલાશ અને બેદરકારીને કાબૂમાં લેવા માટે ગૃહ વિભાગે મહત્વપૂર્ણ અને દૂરગામી નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ રાજ્યની ૯ પોલીસ રેન્જમાં આવતી તમામ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીઓની કામગીરી પર હવે ૩૫ સિનિયર આઇપીએસ અધિકારીઓ સીધી નજર રાખશે. મુખ્ય હેતુ એ છે કે સામાન્ય નાગરિકોની ફરિયાદો સમયસર અને ન્યાયસંગત રીતે ઉકેલાય તથા પોલીસ તંત્રમાં જવાબદારી અને પારદર્શિતા વધે.
ગૃહ વિભાગના આ નિર્ણયને ‘ડાયરેક્ટ મોનિટરિંગ મોડેલ’ તરીકે જોવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી એવી ફરિયાદો સામે આવી રહી હતી કે સ્થાનિક કક્ષાએ અરજીઓ લાંબા સમય સુધી પડતી રહે છે, તપાસમાં અનાવશ્યક વિલંબ થાય છે અથવા અરજદારોને યોગ્ય પ્રતિસાદ મળતો નથી. આ બાબતને ગંભીરતાથી લઈને ગૃહ રાજ્ય મંત્રી તથા વરિષ્ઠ અધિકારીઓની ચર્ચા બાદ આ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે.
નક્કી કરાયેલા માર્ગદર્શક નિયમો મુજબ, નિમણૂક કરાયેલા સિનિયર આઇપીએસ અધિકારીઓએ દર માસના પ્રથમ અઠવાડિયામાં પોતાનો ટુર પ્રોગ્રામ તૈયાર કરી તેની પૂર્વ જાણકારી સંબંધિત એકમોને આપવાની રહેશે. બીજા અને ત્રીજા અઠવાડિયામાં તેઓ મેદાની મુલાકાતો પૂર્ણ કરશે, જ્યારે ચોથા અઠવાડિયામાં કરેલી કામગીરી, તપાસ અને સૂચનોનો વિગતવાર અહેવાલ ગૃહ વિભાગ તેમજ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરીને મોકલવાનો રહેશે.
આ અધિકારીઓએ એસપી કચેરી, એસડિપીઓ કચેરી તેમજ વિવિધ પોલીસ સ્ટેશનોની મુલાકાત લેવાની રહેશે. વર્ષ દરમિયાન જિલ્લામાં આવેલા મહત્તમ પોલીસ સ્ટેશનો આવરી લેવાશે અને એક જ પોલીસ સ્ટેશનની વારંવાર મુલાકાત ટાળવાની સૂચના આપવામાં આવી છે, જેથી સમગ્ર વિસ્તારની વાસ્તવિક સ્થિતિનો અંદાજ મળી શકે.
મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી કાર્યાલય, નાયબ મુખ્યમંત્રી કાર્યાલય, ગૃહ વિભાગ, પોલીસ મહાનિદેશક કચેરી તેમજ જિલ્લા કક્ષાએથી આવેલી અરજીઓનું સમયમર્યાદામાં નિરાકરણ થયું છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે. ખાસ કરીને દફતરી અરજીઓમાંથી ૧૦થી ૧૫ અરજદારોને રૂબરૂ મળીને તપાસ કરવામાં આવશે કે તેમની અરજી વાજબી હતી કે નહીં અને તેમને યોગ્ય ન્યાય મળ્યો છે કે કેમ.
દર માસે ઓછામાં ઓછા એક કે બે પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ ત્યાંની ફરિયાદ વ્યવસ્થા, રજિસ્ટર, તપાસ પ્રક્રિયા અને જનસંપર્કની સ્થિતિનું મૂલ્યાંકન કરવાનું રહેશે. આ તમામ મુલાકાતોની લેખિત જાણ પોલીસ કમિશનર અથવા જિલ્લા પોલીસ વડાને આપવાની રહેશે અને તેનો અહેવાલ સીધો પોલીસ મહાનિદેશકને મોકલાશે.
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી તમામ અહેવાલોની સમીક્ષા કરીને પોતાના રીમાર્ક્સ સાથે સંયુક્ત અહેવાલ ગૃહ વિભાગને મોકલશે. એટલું જ નહીં, રેન્જ આઇજી, પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓને પણ પોતાના વિસ્તારમાં દર માસે સમાન પ્રકારની મોનિટરિંગ પ્રક્રિયા અમલમાં મૂકવાની સૂચના આપવામાં આવી છે.









































