ચીનના વિદેશ મંત્રાલયે રશિયામાં બ્રિક્સ સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગની સંભવિત બેઠક સંબંધિત પ્રશ્નને ટાળી દીધો. મીડિયા સાથે વાત કરતા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને કહ્યું કે, જા આ સંબંધમાં કંઈ નવું હશે તો અમે તમને જણાવીશું. મંગળવારથી શરૂ થઈ રહેલા આ સંમેલનમાં બંને નેતાઓ ભાગ લઈ રહ્યા છે.
વડા પ્રધાન મોદીની કઝાનની મુલાકાત પહેલાં, વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આજે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપી હતી કે ભારત અને ચીનના વાટાઘાટકારો પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર પેટ્રોલિંગ કરવા પર એક કરાર પર પહોંચ્યા છે. જા કે, આ કરાર પર બેઇજિંગ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જૂન ૨૦૨૦ માં ગલવાન ખીણમાં હિંસક અથડામણ પછી ભારત અને ચીન વચ્ચેના સંબંધો નોંધપાત્ર રીતે બગડ્યા હતા. તે દાયકાઓમાં સૌથી ગંભીર લશ્કરી સંઘર્ષ હતો.
ગયા અઠવાડિયે, ચીને જાહેરાત કરી હતી કે શી જિનપિંગ બ્રિક્સ સમિટમાં ભાગ લેશે, જ્યાં તેઓ વૈશ્વીક દક્ષિણ માટે નવા યુગની શરૂઆત કરવા માટે અન્ય પક્ષો સાથે કામ કરશે. બ્રિક્સના સ્થાપક સભ્યોમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. જ્યારે તાજેતરમાં ઇજિપ્ત, ઇથોપિયા, ઇરાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતને નવા સભ્યો તરીકે સામેલ કરવામાં આવ્યા છે.
આ વર્ષની બ્રિકસ સમિટની થીમ ‘સમાન વૈશ્વીક વિકાસ અને સુરક્ષા માટે બહુપક્ષીયવાદને મજબૂત બનાવવો’ છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે શી જિનપિંગ નાના અને મોટા જૂથોની બેઠકો અને બ્રિક્સ પ્લસ સંવાદમાં ભાગ લેશે. તેમણે એમ પણ કહ્યું કે જિનપિંગ અન્ય નેતાઓ સાથે આંતરરાષ્ટ્રીય ભાગીદારો, બ્રિક્સના વ્યવહારિક સહયોગ, બ્રિક્સના વિસ્તરણ અને આસિયાન હિતના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરશે.