ગંભીરા બ્રિજની દુર્ઘટનાને ધ્યાને લઇ સરકારે જુના અને જર્જરિત પુલો પર હવે પછી કોઈ દુર્ઘટના ન સર્જાય તેની તકેદારી લીધી છે. આવા પુલના પરીક્ષણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. ધોરાજીના વેગડી ગામથી જામનગર જતા વચ્ચે આવેલો ભાદર વે-બ્રિજ ૬૦ વર્ષથી પણ વધુ જુનો હોવાનું જણાયું છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બ્રિજને ભારે વાહનો માટે બંધ કરવામાં આવે તેવી શક્યતા જણાઈ રહી છે. આ મામલે નેશનલ હાઈવે અને માર્ગ મકાન વિભાગના અધિકારી કલ્પેશભાઈ વિરડીયાએ જણાવેલ કે વેગડી ગામે ભાદર નદી પર આવેલો પુલ ૬૭ વર્ષ જૂનો પુલ છે જેથી આ પુલ પર ભારે વાહનો બંધ કરવામાં આવે તે માટેની વિભાગ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. જ્યારે બીજી તરફ અધિકારીઓએ પુલનું પરીક્ષણ કરી પુલ પાસે માટીના ઢગલા કરી દેતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો અને વાહનોની કતારો લાગી હતી. અચાનક માર્ગ બંધ થઈ જતા વાહનચાલકોએ હોબાળો મચાવ્યો હતો. જેને લઈ થોડીવાર બાદ જેસીબી વડે માટી હટાવી રસ્તો ફરી શરૂ કરાયો હતો. જોકે, આ બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવા અંગે હજુ સુધી કોઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી.