ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ આજે ટ્રેન ડ્રાઈવરની સમયસુચકતાથી વધુ એક સિંહનો બચાવ થયો હતો. ટ્રેન ડ્રાઈવર બલીરામ કુમાર અમરેલી-જૂનાગઢ પેસેન્જર ટ્રેન ચલાવતી વખતે સવારે ૭ઃ૩૦ કલાકે ચલાલા-ધારી સેક્શન વચ્ચે રેલવે ટ્રેક પર સિંહને અચાનક આવતો જોઈને તેમણે ઈમરજન્સી બ્રેક લગાવીને લગભગ ૫૦ મીટર પહેલા ટ્રેન રોકી દીધી અને સિંહનો જીવ બચાવ્યો હતો. સિંહે પાટા ઓળંગ્યા બાદ ટ્રેનને ઘટનાસ્થળ પરથી ગંતવ્ય સ્ટેશન તરફ લઈ જવામાં આવી હતી. ઘટનાસ્થળ પર કોઈ ફોરેસ્ટ ગાર્ડ હાજર ન હતો, તેમ છતાં લોકો પાયલટે ટ્રેન રોકીને સિંહને બચાવ્યો હતો.
ટ્રેન મેનેજરે ધારી સ્ટેશન માસ્તરને મેમો આપ્યો હતો અને તે અંગેની માહિતી ટ્રેન ડ્રાઈવર દ્વારા મંડલ કચેરી કંટ્રોલને આપવામાં આવી હતી. માહિતી મળતાં, ટ્રેન ડ્રાઈવર બલીરામ કુમારને તેમના પ્રશંસનીય કાર્ય માટે ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.