ચાંગોદર વિસ્તારમાં દેરાણી અને જેઠાણીની હત્યા કેસમાં ગ્રામ્ય પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપી દેરાણી પાસેથી શારીરિક સંબંધ બનાવવા દબાણ કરતા તેમણે પ્રતિકાર કરતા હત્યા કરી દેવામાં આવી ત્યારે જેઠાણી બૂમાબૂમ કરતા તેમની પણ હત્યા કરી દેવામાં આવી. નોંધનીય છે કે જેઠાણી સાથે દુષ્કર્મ થયું છે કે કેમ તે મેડિકલ રિપોર્ટ બાદ બહાર આવશે.
અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં આવેલ મટોડા ગામના રહેવાસી જતન બેન અને સોન બેનની ગત ૧૪ એપ્રિલના રોજ ચાંચરાવાડી પાટિયા નજીક લાશ મળી આવી હતી. બંને કચરો વીણવાનું કામ કરતા હતા. બંને દેરાણી જેઠાણીને પથ્થરથી હુમલા કરીને હત્યા કરી દેવામાં આવી હતી જેને લઈ ગ્રામ્ય પોલીસ દ્વારા ૪ ટીમો બનાવીને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ગ્રામ્ય એલસીબી અને ચાંગોદર પોલીસ દ્વારા તપાસ કરી મધ્ય પ્રદેશના સતનાથી આરોપી ભોલે કોલની ધરપકડ કરવામાં આવી અને જેણે ગુનાની કબૂલાત કરી લીધી છે.
આરોપી છેલ્લા ૩ મહિનાથી અમદાવાદમાં નવકાર કંપનીમાં કામ કરતો હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી બંને દેરાણી જેઠાણી ૧૪ એપ્રિલના રોજ રાબેતા મુજબ કચરો વીણવા માટે ગયા હતા તે સમયે આરોપી પણ ત્યાં હાજર હતો. આરોપીએ પહેલા જતન બેન પાસેથી શારીરિક સંબંધ બાંધવા કહ્યું જેથી તેમણે તેનાથી બચવા માટે પથ્થર ફેંક્યો ત્યારબાદ આરોપી આવેશમાં આવીને જતન બેનની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ સોન બેન બધું જોઈ જતા તેમણે બૂમાબૂમ કરતા આરોપીએ તેમની પણ હત્યા કરી દીધી.
જોકે બંનેને ૨૦ થી ૨૫ મિનિટમાં હત્યા કર્યા બાદ આરોપી ટ્રેન મારફતે ભાગી ગયો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને પકડી પાડેલ છે. નોંધનીય છે કે આરોપીએ સોન બેન સાથે આરોપીએ દુષ્કર્મ કર્યું છે કે કેમ તે માટે પોલીસ એફએસએલની રાહ જોઈ રહી છે ત્યારે આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે.