તારીખ ૨૧/૦૧/૨૦૨૪ના દિવસે કોડીનાર તાલુકાના મૂળ-દ્વારકા ગામના ગાયત્રી મંદિરના મહંત બલરામ ચરણ બાપુ એક પ્રેરણાદાયી યાત્રા પર નીકળ્યા છે. બંને પગેથી દિવ્યાંગ હોવા છતાં, તેઓ પોતાની બાઈક પર ૨૦૦૦ કિલોમીટરની લાંબી યાત્રા કરીને પ્રયાગરાજ મહાકુંભમાં શાહી સ્નાન કરવા જઈ રહ્યા છે. મહંત બલરામ ચરણ બાપુનો આ પ્રવાસ તેમની અડગ શ્રદ્ધા અને દૃઢ સંકલ્પનું ઉત્તમ ઉદાહરણ છે. શારીરિક અક્ષમતા હોવા છતાં, તેઓની ધાર્મિક ભાવના પ્રબળ છે અને તેના કારણે તેઓ આટલો લાંબો પ્રવાસ ખેડવા માટે પ્રેરિત થયા છે. આ પ્રસંગે કોડીનાર નગરપાલિકાના સભ્ય નરેશભાઈ ડાભી તેમજ માલશ્રમ ગામના પૂર્વ સરપંચ શ્રી રામસિંગભાઈ સોલંકી, હરિ ઓમ ટ્રસ્ટના જે. કેમેર વજુભાઈ સોલંકી, અરશીભાઈ ચુડાસમા, ઉતપાલભાઈ દામોદર તેમજ મંદિરના સેવકોએ મહંત શ્રીને મળીને ખૂબ આનંદ વ્યક્ત કર્યો હતો અને યાત્રા માટે શુભકામના પાઠવી હતી. મહંત બલરામ ચરણ બાપુએ તેમને આશીર્વાદ પાઠવ્યા હતા.