દિલ્હી રમખાણોના આરોપી તાહિર હુસૈનની વચગાળાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટની બે જજાની બેન્ચ એકમત નથી. બે જજાની બેન્ચમાંથી એક જસ્ટીસ પંકજ મિત્તલે તાહિર હુસૈનની અરજી ફગાવી દીધી હતી. જ્યારે અન્ય ન્યાયાધીશ હસનુદ્દીન અમાનુલ્લાહે અરજી સ્વીકારી હતી. તાહિર હુસૈન આગામી દિલ્હી ચૂંટણીમાં એઆઇએમઆઇએમ ઉમેદવાર છે અને તેમણે ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. હવે આ મામલો મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના સમક્ષ મૂકવામાં આવશે અને તેઓ આ કેસની સુનાવણી માટે નવી બેન્ચની રચના કરશે.
જસ્ટીસ પંકજ મિત્તલે પોતાના આદેશમાં કહ્યું કે રમખાણોમાં તાહિર હુસૈનની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. રમખાણો દરમિયાન તેણે કમાન્ડ સેન્ટર તરીકે કામ કર્યું. તેના ઘરમાંથી હથિયારો મળી આવ્યા હતા. ન્યાયાધીશ અમાનુલ્લાહે પોતાના આદેશમાં કહ્યું કે તાહિર હુસૈન છેલ્લા પાંચ વર્ષથી જેલમાં છે અને સમાજ અને મતદારોથી કપાયેલો છે. આવી સ્થિતિમાં, ચૂંટણી માટે જેટલા પણ દિવસો બાકી હોય, પ્રચાર માટે પરવાનગી આપવી જોઈએ. જસ્ટીસ અમાનુલ્લાહે એમ પણ કહ્યું કે હાઇકોર્ટે અરજદારને નામાંકન માટે કસ્ટડી પેરોલ મંજૂર કર્યો હતો. હાઈકોર્ટે આ મામલો ઉકેલવો જોઈએ. તાહિર હુસૈનની જામીન અરજીનો વિરોધ કરતા, એડિશનલ સોલિસિટર જનરલે કહ્યું કે ‘આરોપી ચૂંટણી પ્રચાર દરમિયાન સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે.’ તેમણે કહ્યું કે તાહિર હુસૈન પણ મની લોન્ડરિંગ કેસમાં આરોપી છે અને તેમને તે કેસમાં જામીન મળી શકે નહીં. આવી સ્થિતિમાં તે જેલમાંથી બહાર આવી શકશે નહીં.
તાહિર હુસૈન આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ કાઉન્સીલર છે. હાલમાં, તેઓ એઆઇએમઆઇએમ પાર્ટીની ટિકિટ પર દિલ્હી વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. ૧૪ જાન્યુઆરીના રોજ, તાહિર હુસૈનને મુસ્તફાબાદ વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવવા માટે દિલ્હી હાઈકોર્ટ દ્વારા કસ્ટડી પેરોલ મંજૂર કરવામાં આવ્યો હતો. તાહિરે વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરવા બદલ જામીન અરજી ફગાવી દેવાના દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. તાહિર હુસૈન દિલ્હી રમખાણો સાથે સંબંધિત ૧૧ કેસોમાં આરોપી છે. તેના પર આઈબી અધિકારી અંકિત શર્માની હત્યાનો પણ આરોપ છે. ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ દિલ્હી રમખાણોમાં ૫૩ લોકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા.