રવિવારની સવારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પરથી એક દર્દનાક અકસ્માતમાં સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, અહીં એક અકસ્માતમાં ૬ લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. સવાઈ માધોપુર જિલ્લાના બૌનલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રણથંભોર સ્થિત ત્રિનેત્ર ગણેશજીના દર્શન કરવા જઈ રહેલા ભક્તોની કારને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી હતી. જેના કારણે કારમાં સવાર છ લોકોના ઘટના સ્થળે જ દર્દનાક મોત થયા હતા. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ત્યાંની પરિસ્થિતિ જોઈને તેઓ પણ સ્તબ્ધ થઈ ગયા. પોલીસે મૃતદેહોને સ્થાનિક હોસ્પિટલના શબઘરમાં રાખ્યા છે.
આ ઘટનાની વિગત એવી છે કે, આજે એટલે કે રવિવારે સવારે લગભગ ૭ વાગે આ દર્દનાક અકસ્માત થયો હતો. એક પરિવાર રણથંભોર સ્થિત ત્રિનેત્ર ગણેશજીના દર્શન કરવા કારમાં જઈ રહ્યો હતો.આ દરમિયાન બૌનલી પોલીસ સ્ટેશન વિસ્તારના બનાસ પુલિયા પાસે કોઈ અજાણ્યા વાહને તેમની કારને ટક્કર મારી હતી. જેના કારણે કારમાં સવાર છ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા આ પરિવારના બે બાળકો પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
અકસ્માતની માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પરંતુ ત્યાંની સ્થિતિ જોઈને પોલીસકર્મીઓ પણ ચોંકી ઉઠ્‌યા હતા. બાદમાં ઘાયલો અને મૃતકોને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તબીબોએ છ લોકોને મૃત જાહેર કર્યા હતા. ઘાયલોની સારવાર શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, અકસ્માતનો ભોગ બનેલા લોકો સીકર જિલ્લાના હોવાનું કહેવાય છે.
આ તરફ પોલીસે અકસ્માતનો ભોગ બનેલા પરિવારોને જાણ કરી છે. અકસ્માતની માહિતી મળતા જ વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયા હતા. હાલ અકસ્માતનું કારણ જાણી શકાયું નથી. ક્યા વાહને કારને ટક્કર મારી તે હજુ બહાર આવ્યું નથી. આ હાઈવે પર આ પ્રકારનો આ પહેલો અકસ્માત નથી. વાસ્તવમાં હાઇવે ખુલ્યા બાદ તેના પર અનેક મોટા અકસ્માતો થયા છે.