દિલ્હીની કરકરડૂમા કોર્ટે મંગળવારે દિલ્હી રમખાણોના કાવતરાના કેસમાં આરોપી ઉમર ખાલિદને વચગાળાની જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. ખાલિદે ૧૫ દિવસ માટે વચગાળાના જામીન માંગ્યા હતા જેથી તે તેની બીમાર માતાની સર્જરી દરમિયાન તેની સંભાળ રાખી શકે અને ગયા મહિને અવસાન પામેલા તેના કાકાના ૪૦મા દિવસ (ચેહલુમ) સમારોહમાં હાજરી આપી શકે.
એડિશનલ સેશન્સ જજ સમીર બાજપાઈની કોર્ટે દિલ્હી પોલીસના વાંધો ઉઠાવતા આ ચુકાદો આપ્યો. પોલીસે જણાવ્યું કે માતાની સર્જરી કટોકટીની નહોતી અને ખાલિદના કાકા દૂરના સંબંધી છે. કોર્ટે પોલીસની દલીલો સાથે સંમત થયા અને કહ્યું કે ખાલિદની બહેનો અને પિતા તેની માતાની સંભાળ રાખી શકે છે. કોર્ટે આદેશમાં જણાવ્યું હતું કે અરજીમાં આપેલા કારણો વાજબી ન જણાયા, તેથી અરજદારને માંગવામાં આવેલી રાહત આપવી યોગ્ય નથી. અરજી ફગાવી દેવામાં આવે છે.
ઉમર ખાલિદની સપ્ટેમ્બર ૨૦૨૦ માં ધરપકડ કરવામાં આવી હતી. તેના પર કાવતરું, રમખાણો, ગેરકાયદેસર સભા અને દિલ્હી રમખાણો સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમની વિવિધ કલમોના આરોપો છે. દિલ્હી પોલીસે વચગાળાની જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે ખાલિદના કેસમાં કોઈ અપવાદરૂપ સંજાગો નહોતા જેના કારણે તેને વચગાળાની જામીન આપી શકાય.








































