દાહોદની એક શાળાના કમ્પાઉન્ડમાં બાળકી કથળેલી હાલતમાં મળતા ચકચાર મચી. દાહોદના સીંગવડ તાલુકામાં પીપળીયા ગામની આ ઘટના છે. પીપળીયા ગામમાં તોયણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ૬ વર્ષીય બાળકી શાળાએ ગયા બાદ ઘરે પરત ના ફરી. ગતરોજ તોયણી પ્રાથમિક શાળામાં ધોરણ ૧માં અભ્યાસ કરી રહેલા બાળકી ઘરે પંહોચી નહોતી. શાળાની વિદ્યાર્થીની ૧૯મી સપ્ટેમ્બરના રોજ ૧૦ વાગ્યે શાળાએ પંહોચી હતી. શાળાના તમામ વિદ્યાર્થીઓ ૬ વાગ્યે છૂટી ગયા હતા. પરંતુ બાળકી મોડી રાત થવા છતાં ઘરે પંહોચી નહોતી. મોડી રાત સુધી બાળકી ઘરે પરત ના ફરતા પરિવારજનોએ સંબંધિત તમામ સ્થાનો પર તપાસ કરવા નીકળ્યા.
પરિવારજનોએ પડોશમાં તેમજ અન્ય સ્થાનો પર શોધખોળ કરતાં તેના મિત્રોને પણ પૂછપરછ કરતા બાળકીને ભાળ મેળવવા પ્રયાસ કર્યો. બાદમાં પરિવારજનોએ વધુ શોધખોળ હાથ ધરતા શાળાએ પંહોચ્યા હતા. ત્યાં બાળકી શાળાના કમ્પાઉન્ડમાં કથળેલી હાલતમાં મળી આવતા પરિવારજનોને ઘેરો આઘાત લાગ્યો. તેઓ તાત્કાલિક બાળકીને હોસ્પીટલ લઇ જતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરી. આ મામલે પોલીસને જાણ કરવામાં આવી. જીલ્લા પોલીસ વડા સહીત પોલીસનો કાફલો ઘટના સ્થળે પંહોચી ગયો અને આસપાસના વિસ્તારમાં પુછપરછ અને તપાસ હાથ ઘરી. બાળકીના મૃતદેહને હાલમાં પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ ઘટનામાં પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે તોયણી શાળામાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે. શાળામાં બાળકો અભ્યાસ કરે છે પરંતુ પીવાના પાણી જેવી સુવિધા પણ ઉપલબ્ધ નથી. પોલીસ આ કેસમાં વધુ તથ્યો તપાસ કરી રહી છે. ઉપરાંત શાળામાં સીસીટીવી પણ લગાવ્યા ના હોવાથી બાળકી કેવી રીતે મોડી સાંજ સુધી શાળામાં રહી તેમજ કોણે બાળકીને આવી હાલત કરી તે જાણવામાં વધુ મુશ્કેલી પડી રહી છે. પોલીસ આ ઘટનામાં તપાસ તેજ કરી છે જો કે પોસ્ટમોર્ટમ બાદ વધુ વિગતો સામે આવશે