એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને કે કવિતા વિરુદ્ધ દારૂ કૌભાંડ કેસમાં પૂરક ચાર્જશીટ દાખલ કરી શકે છે. સૂત્રોના હવાલાથી આ માહિતી સામે આવી છે. કેન્દ્રીય એજન્સીએ ૧૫ માર્ચે કવિતા અને ૨૧ માર્ચે કેજરીવાલની ધરપકડ કરી હતી. હાલમાં તે ન્યાયિક કસ્ટડી હેઠળ તિહાર જેલમાં બંધ છે. અગાઉ, સુનાવણી દરમિયાન તેની કસ્ટડીની માંગ કરતી વખતે, ઈડીએ કહ્યું હતું કે કેજરીવાલ દારૂ કૌભાંડ કેસમાં મુખ્ય કાવતરાખોર છે.
તપાસ એજન્સીનું કહેવું છે કે દિલ્હીના મુખ્યમંત્રીએ નવી લિકર પોલિસી ૨૦૨૧-૨૨ તૈયાર કરવા અને તેને લાગુ કરવા માટે ‘સાઉથ ગ્રુપ’ પાસેથી કરોડો રૂપિયા લાંચ તરીકે લીધા છે. એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ રાઉઝ એવન્યુ કોર્ટને જણાવ્યું હતું કે તેમણે ચૂંટણી લડવા માટે ‘સાઉથ ગ્રુપ’ના કેટલાક આરોપીઓ પાસેથી ૧૦૦ કરોડ રૂપિયાની માંગણી કરી હતી. તે જ સમયે, સુપ્રીમ કોર્ટ શુક્રવારે સીએમ અરવિંદ કેજરીવાલના કેસની સુનાવણી કરશે. જસ્ટિસ ખન્નાએ એએસજી રાજુને કહ્યું કે તમે આવતીકાલે (જીએસટી બેચમાં) ચર્ચા શરૂ કરો. રાજુએ કહ્યું કે કેજરીવાલની અરજી પર ગુરુવારે સુનાવણી છે. જસ્ટિસ ખન્નાએ કહ્યું ના, શુક્રવારે છે. જ્યાં સુધી વચગાળાના આદેશો વગેરેનો સંબંધ છે, અમે તે આદેશ શુક્રવારે પસાર કરી શકીએ છીએ.
૭ મેના રોજ, ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે જણાવ્યું હતું કે કેજરીવાલને રાહત માત્ર એ શરતે આપવામાં આવશે કે તેઓ કોઈ સત્તાવાર ફરજા નિભાવશે નહીં કારણ કે તેની “વ્યાપક અસર” થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે સ્થિતિ “અસાધારણ” છે કારણ કે લોકસભાની ચૂંટણીઓ પાંચ વર્ષમાં એકવાર યોજાય છે. અહીં, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલની ન્યાયિક કસ્ટડી ૨૦ મે સુધી લંબાવી છે.
કેજરીવાલની ગેરહાજરીમાં તેમની પત્ની સુનીતા કેજરીવાલ લોકસભા ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાળી રહી છે. તાજેતરમાં સુનીતાએ દાવો કર્યો હતો કે અરવિંદ કેજરીવાલનો અવાજ દબાવવા માટે ચૂંટણી પહેલા તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. તેમણે ભાજપ અને કેન્દ્ર સરકાર પર તાનાશાહી હોવાનો આરોપ લગાવ્યો. તે જ સમયે, તેમણે લોકોને રાષ્ટિય રાજધાનીમાં મતદાનના દિવસે ૨૫ મેના રોજ “સરમુખત્યારશાહી” વિરુદ્ધ મતદાન કરવાની અપીલ કરી.