દામનગરમાં ભુરખીયા-ઢસા રોડ ચોકડી પર છ વર્ષ પહેલાં રૂ. દોઢ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા પુલની હાલત દિવસે દિવસે કથળી રહી છે. આ પુલ પર પડેલા મોટા ખાડાઓ અને બિસ્માર સ્થિતિને કારણે મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ચોમાસા દરમિયાન પુલ પર વરસાદી પાણી ભરાઈ રહેતું હોવાથી રસ્તામાં ખાડાઓ પડી ગયા છે. આ ખાડાઓને વારંવાર થીંગડા મારવામાં આવ્યા છે, પરંતુ કાયમી ધોરણે સમારકામ કરવામાં આવ્યું નથી. વળી, પુલની બંને બાજુ સ્પીડ બ્રેકર ન હોવાથી વાહનો બેફામ ઝડપે પસાર થાય છે. વિશેષમાં, આ માર્ગ પરથી ભારે માલવાહક વાહનોની અવરજવર રહે છે, જે સલામતી માટે જોખમરૂપ છે. નિરાધાર પશુઓ પણ પુલ પર બેસી રહેતા હોવાથી અકસ્માતનું જોખમ વધી જાય છે. સ્થાનિક રહીશોએ આ સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે અને માર્ગ અને મકાન વિભાગ તેમજ સ્થાનિક ધારાસભ્ય દ્વારા તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.