ભારતીય જનતા પાર્ટીએ તેલંગાણાના ગોશામહલના ધારાસભ્ય ટી. રાજા સિંહનું રાજીનામું સ્વીકાર્યું છે. તેમણે ૩૦ જૂન, ૨૦૨૫ ના રોજ તેલંગાણા ભાજપ પ્રમુખ તરીકે એન. રામચંદ્ર રાવની નિમણૂકના વિરોધમાં પાર્ટીના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપ્યું હતું. રાજીનામામાં, સિંહે પાર્ટી નેતૃત્વ પર કાર્યકરોની અવગણના કરવાનો અને ખોટી નેતાગીરી પસંદ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે પ્રદેશ પ્રમુખની પસંદગી અંગે પાર્ટીની રણનીતિ સાથે અસંમતિ વ્યક્ત કરી હતી, જાકે તેમણે હિન્દુત્વ વિચારધારા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. હવે ભારતીય જનતા પાર્ટીએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે.
ટી રાજા સિંહ, જેને ‘ટાઇગર રાજા સિંહ’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેલંગાણાના ગોશામહલ વિધાનસભા મતવિસ્તારમાંથી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. રાજા સિંહે ૨૦૧૪, ૨૦૧૮ અને ૨૦૨૩ તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં ગોશામહલ બેઠક જીતી હતી. ખાસ કરીને ૨૦૧૮ માં, જ્યારે મોટાભાગના ભાજપના ઉમેદવારો હારી ગયા હતા, ત્યારે પણ તેમણે પોતાની બેઠક જાળવી રાખી હતી. આ બેઠક હિન્દુ પ્રભુત્વ ધરાવતી છે અને હૈદરાબાદની લોકસભા બેઠક હેઠળ આવે છે, જ્યાં એઆઇએમઆઇએમ નેતા અસદુદ્દીન ઓવૈસી સાંસદ છે. તેમની જીતમાં હિન્દુ મતોનું ધ્રુવીકરણ મહત્વપૂર્ણ રહ્યું છે.
રાજા સિંહ કટ્ટર હિન્દુત્વ નેતા તરીકે જાણીતા છે. તેઓ ગાય સંરક્ષણ અને હિન્દુ સમુદાયના મુદ્દાઓને જારશોરથી ઉઠાવી રહ્યા છે. તેઓ બજરંગ દળ અને શ્રી રામ યુવા સેના જેવા હિન્દુત્વ સંગઠનો સાથે પણ સંકળાયેલા છે. રાજા સિંહ તેમના ઉશ્કેરણીજનક અને વિવાદાસ્પદ નિવેદનો માટે સમાચારમાં રહ્યા છે. થોડા વર્ષો પહેલા, તેમને પયગંબર મોહમ્મદ પર આવી જ વિવાદાસ્પદ ટિપ્પણીઓ માટે ધરપકડ પણ કરવામાં આવી હતી. આ ઘટના પછી, ભાજપે તેમને સસ્પેન્ડ કર્યા હતા, પરંતુ ૨૦૨૩ ની ચૂંટણી પહેલા તેમનું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું હતું. તેમની સામે ઘણા ગુનાહિત કેસ નોંધાયેલા છે, જેમાંથી કેટલાક સાંપ્રદાયિક ગુનાઓ સાથે સંબંધિત છે.




































