આંધ્રપ્રદેશના તિરુપતિમાં ભાગદોડમાં સાત શ્રદ્ધાળુઓના મોત થયા છે જ્યારે ૪૦ લોકો ઘાયલ થયા છે.આમાંથી ૪ લોકોની હાલત ગંભીર છે. ઘાયલોને તિરુપતિ શહેરની બે હોસ્પિટલો – રુઇયા હોસ્પિટલ અને એસવીઆઇએમએસ હોસ્પિટલ – માં સારવાર આપવામાં આવી રહી છે.જે સમયે આ ભાગદોડ થઈ, તે સમયે તિરુપતિના વિષ્ણુ નિવાસમ પાસે ટોકન મેળવવા માટે લગભગ ૪ હજાર લોકોની ભીડ એકઠી થઈ હતી.
મળતી માહિતી મુજબ, તિરુમાલાના ભગવાન વેંકટેશ્વર સ્વામી મંદિરમાં થયેલી ભાગદોડમાં સાત ભક્તોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. વૈકુંઠ દ્વાર દર્શનમની ટિકિટ મેળવવા માટે સેંકડો લોકો દોડધામ કરી રહ્યા હતા ત્યારે નાસભાગ મચી ગઈ. ૧૦ જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા ૧૦ દિવસીય વૈકુંઠ દ્વાર દર્શન માટે દેશભરમાંથી સેંકડો ભક્તો અહીં આવ્યા છે.આ દરમિયાન, પોલીસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં કેટલીક મહિલા શ્રદ્ધાળુઓને સીપીઆર આપવામાં આવી રહ્યો છે અને ઘાયલોને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવી રહ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ તિરુપતિમાં થયેલી ભાગદોડની ઘટનામાં સાત શ્રદ્ધાળુઓના મોત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે અધિકારીઓને ઘટનાની તપાસ કરવા અને ઘાયલોને સારી સારવાર આપવા જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે આ અકસ્માત ત્યારે થયો જ્યારે બૈરાગી પટ્ટીડા પાર્કમાં શ્રદ્ધાળુઓને કતારમાં ઉભા રહેવાની મંજૂરી આપવામાં આવી હતી. નાસભાગ મચી જતા અહીં લોકો એક બીજાને ધક્કા મારીને બચવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં જયારે કેટલાક તો નીચે પડી ગયા હતાં
રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વાયએસઆરસીપીના પ્રમુખ વાયએસ જગન મોહન રેડ્ડીએ પણ તિરુપતિમાં ભાગદોડમાં શ્રદ્ધાળુઓના મોત પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે ઘાયલ ભક્તોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.
લોકસભાના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ટીવટર પર પોસ્ટ કર્યું કે તિરુપતિમાં દુઃખદ નાસભાગ અત્યંત દુઃખદ છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. હું તમામ ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. હું કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓને આ મુશ્કેલ સમયમાં શક્ય તમામ મદદ કરવા વિનંતી કરું છું.
વાસ્તવમાં, ૧૦ જાન્યુઆરીએ વૈકુંઠ એકાદશીના દર્શન માટે મર્યાદિત ટોકન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ટીટીડીએ જણાવ્યું હતું કે ૧૦ જાન્યુઆરીના દર્શન માટે ટોકન વિતરણ ગુરુવારે સવારે ૫ વાગ્યાથી શરૂ થશે. મર્યાદિત ટોકન હશે અને જે પ્રથમ પહોંચશે તેને ટોકન મળશે. બુધવારે સાંજે ૬ વાગ્યાથી લોકો ટોકન મેળવવા માટે કતારમાં ઉભા રહેવા લાગ્યા. સવારે લગભગ ૮.૩૦ વાગ્યે, જ્યારે તિરુપતિ શહેરના શ્રીનિવાસમ પ્લેસ પર પહેલી વાર કતાર ખોલવામાં આવી, ત્યારે લોકો કતારમાં પહેલા થવા માટે દોડી આવ્યા અને નાસભાગ મચી ગઈ.
શ્રીનિવાસમ ઉપરાંત, રામા નાયડુ સ્કૂલમાં પણ નાસભાગ મચી ગઈ. કતારમાં આગળ વધવા માટે, લોકો એકબીજાને ધક્કો મારવા અને દોડવા લાગ્યા. ભારે ભીડ અને સાંકડી જગ્યાને કારણે, લોકોનો શ્વાસ રૂંધાવા લાગ્યો. કેટલાક લોકો બેભાન થઈ ગયા અને કેટલાક ટોકન મેળવવાની ઉતાવળમાં તેમને કચડીને આગળ વધવા લાગ્યા. ગયા.
દર વર્ષે વૈકુંઠ એકાદશીના અવસર પર આવી જ પરિસ્થિતિ સર્જાય છે. આ વિસ્તારમાં બેરિકેડિંગ કર્યા પછી, લોકોને કતારમાં ઉભા રાખવામાં આવે છે અને જેમ જેમ ઊ લાઇનો ખુલે છે, તેમ તેમ લોકોને એક પછી એક ટોકન આપવામાં આવે છે. આ વખતે, ભારે ભીડને કારણે, પોલીસે પહેલીવાર લોકોને પાર્કની અંદર મોકલ્યા અને ગેટ બંધ કરી દીધો, પરંતુ ત્યાં કોઈ મૂળભૂત વ્યવસ્થા કરવામાં આવી ન હતી. સવારથી સાંજ સુધી લોકો પાર્કમાં બંધ હતા. મેડિકલ ઇમરજન્સીને કારણે પાર્કનો દરવાજા ખુલતાની સાથે જ નાસભાગ મચી ગઈ. અનિયંત્રિત ભીડને કારણે, શ્રીનિવાસમ વિસ્તારમાં સ્થિત કેન્દ્રમાં પણ પરિસ્થિતિ કાબુ બહાર ગઈ હતી પરંતુ પોલીસે સમયસર તેને કાબુમાં લઈ લીધી હતી.એ યાદ રહે કે મંદિર અને ધાર્મિક આયોજનોમાં પહેલા પણ નાસભાગની ધટનાઓ બની ચુકી છે જેમાં ૨૦૨૪માં હાથરસમાં બનેલી ઘટનામાં ૧૨૧ લોકો માર્યા ગયા હતાં જયારે ૨૦૨૩માં ઇન્દોરમાં ૩૫,૨૦૨૫ સતારા ૩૦૦,૨૦૦૮માં બિલાસપુક ૧૪,૨૦૨૨માં વૈષ્ણોદેવી ૧૨,૨૦૧૧ હરિદ્વારમાં ૨૦ અને ૨૦૪૩માં દતિયામાં નાસભાગમાં ૧૧૫ લોકો માર્યા ગા હતાં.