ગુજરાતના અનેક મંદિરોમાં ભક્તોને વિના મૂલ્યે ભોજન પ્રસાદી આપવામાં આવતી હોય છે. ત્યારે ડાકોર મંદિરમાં રણછોડરાયજીના દર્શન કરવા આવતા ભક્તો માટે ખુશીના સમાચાર આવ્યા છે. બવે ડાકોર દર્શનાર્થે આવતા ભક્તો નહીં રહે ભૂખ્યા. આવતીકાલથી ડાકોર દર્શનાર્થે પધારતા તમામ ભક્તો વિના મૂલ્યે ભોજન પ્રસાદી લઈ શકશે.
ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા આ મહત્વનો નિર્ણય લેવાયો કે, રણછોડરાય મંદિર નજીક આવેલી ગૌશાળા પાસે યાત્રી નિવાસ નીચે ભક્તો માટે વિના મૂલ્યે ભોજનની વ્યવસ્થા કરાશે. આ ભોજન પ્રસાદીનો હજારોની સંખ્યામાં ભક્તોને લાભ મળશે. આવતીકાલ સોમવારથી ભક્તોને ડાકોર મંદિરમાં ભોજન મળશે.
અત્યાર સુધી ડાકોર ખાતે મંદિર પ્રશાસન તરફથી વિના મૂલ્યે ભોજનની કોઈ વ્યવસ્થા ન હતી. ભક્તોને જાતે જ વ્યવસ્થા કરવી પડતી હતી. ત્યારે મંદિર દ્વારા ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવાથી ભક્તોમાં આનંદનો માહોલ છવાયો છે. ભક્તોએ આ નિર્ણયને આવકાર્યો છે.