જગજીત સિંહ ડલ્લેવાલની અનિશ્ચિત મુદતની ભૂખ હડતાળ ૩૫ દિવસથી ચાલુ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પંજાબ સરકાર દ્વારા બીમાર ખેડૂત નેતાની સારવાર અને તેમના સ્વાસ્થ્યને જાળવવા માટે લેવામાં આવેલા પગલાંની ૩૧ ડિસેમ્બરે સમીક્ષા કરવામાં આવશે. દલ્લેવાલના સ્વાસ્થ્યના મામલે એ જાણવું પણ જરૂરી છે કે પંજાબ સરકારના અધિકારીઓની એક ટીમ ૨૯ ડિસેમ્બરે ૭૦ વર્ષીય દલ્લેવાલ પાસે ગઈ હતી. તેને તબીબી મદદ લેવા માટે મનાવવાના સતત પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ દલ્લેવાલે ના પાડી.
અધિકારીઓએ પણ દલ્લેવાલને વિરોધ સ્થળ છોડી દેવાની અપીલ કરી હતી, પરંતુ તેમણે ઉપવાસ સમાપ્ત કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. હવે આ મામલે બળપ્રયોગની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે ખેડૂતો પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની કાયદેસર ગેરંટી સહિત અનેક માંગણીઓને લઈને વિરોધ કરી રહ્યા છે. કેન્દ્ર પર દબાણ લાવવા પંજાબ-હરિયાણા બોર્ડર પર ખનૌરીમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે.
જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની વેકેશન બેન્ચ ૩૧ ડિસેમ્બરે લગભગ ૧૧ વાગ્યે આ કેસની વર્ચ્યુઅલ સુનાવણી કરશે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટ ૨૧મી ડિસેમ્બરે શિયાળાની રજા પર ગઈ હતી. હવે ૨ જાન્યુઆરી, ૨૦૨૫થી કોર્ટનું નિયમિત કામ અને કેસોની સુનાવણી ફરી શરૂ થશે.૨૯ ડિસેમ્બરના રોજ ડોક્ટરોએ મેડિકલ બુલેટિન જારી કરીને જણાવ્યું હતું કે દલ્લેવાલનું બ્લડ પ્રેશર ખૂબ જ ઓછું છે, જેના કારણે તેમને વાત કરવામાં પણ તકલીફ પડી રહી છે. તેમની હાલત દિવસેને દિવસે નાજુક બની રહી છે. તેમની ગંભીર તબિયતને ધ્યાનમાં રાખીને, પંજાબ સરકારના અધિકારીઓની એક ઉચ્ચ-સ્તરીય ટીમે દલ્લેવાલને વિનંતી કરી કે જા ઉપવાસ ચાલુ રહે તો પણ ઓછામાં ઓછી તબીબી સારવાર સ્વીકારે.
ખેડૂત આગેવાનોએ સ્પષ્ટતા કરી કે તેઓ ગાંધીવાદી રીતે વિરોધ કરી રહ્યા છે. સરકાર ભૂખ હડતાળ પર બેઠેલા દલ્લેવાલને બળજબરીથી હટાવવા માંગે છે. ખેડૂત નેતાઓનો આરોપ છે કે છેલ્લા ૩૫ દિવસમાં ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને પત્રો લખવામાં આવ્યા છે, પરંતુ કોઈએ તેમની માંગણીઓ પર ધ્યાન આપ્યું નથી કે તેમની સાથે વાત કરવાનો કોઈ પ્રયાસ કર્યો નથી.