સુપ્રીમ કોર્ટે તેના તાજેતરના નિર્ણયમાં રાષ્ટ્રપતિને ત્રણ મહિનાની અંદર બિલ પર નિર્ણય લેવાની સલાહ આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો રાષ્ટ્રપતિ ત્રણ મહિનાની સમય મર્યાદામાં નિર્ણય નહીં લે તો તેમણે તેના માટે માન્ય કારણ આપવું પડશે. સુપ્રીમ કોર્ટના નિર્ણયને કારણે, રાજ્યપાલ પણ બિલને અનિશ્ચિત સમય માટે પેન્ડીંગ રાખી શકશે નહીં. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પર કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરે તીવ્ર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જો સુપ્રીમ કોર્ટ બંધારણમાં સુધારો કરવાનું કામ પણ કરશે તો સંસદ અને વિધાનસભાઓ શા માટે છે?

કેરળના રાજ્યપાલના આ નિવેદન પર રાજકારણ ગરમાયું છે અને કોંગ્રેસ અને કેરળના શાસક પક્ષ સીપીઆઈ(એમ) એ રાજ્યપાલની ટીકા કરી છે. સીપીઆઈએમના મહાસચિવ એમએ બેબીએ રાજ્યપાલના નિવેદનને અયોગ્ય ગણાવ્યું અને કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે આર્લેકરના નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું. કોઝિકોડમાં એક કાર્યક્રમમાં બોલતા, કેસી વેણુગોપાલે કહ્યું કે રાજ્યપાલ સુપ્રીમ કોર્ટના નિર્ણયની ટીકા કરી રહ્યા છે કારણ કે તેમને ડર હતો કે ભાજપનો એજન્ડા હવે ખુલ્લો પડી જશે. તેમણે કહ્યું કે, દુર્ભાગ્યપૂર્ણ છે કે કેરળના રાજ્યપાલ સુપ્રીમ કોર્ટના નિર્ણયની વિરુદ્ધ છે.

સીપીઆઈએમ નેતા એમએ બેબીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય રાષ્ટ્રપતિ સહિત દરેકને લાગુ પડશે. જ્યારે રાષ્ટ્રપતિ સંસદના બિલને વિલંબિત કરી શકતા નથી, તો પછી રાજ્યપાલ પાસે એવી સત્તા કેવી રીતે હોઈ શકે જે રાષ્ટ્રપતિ પાસે નથી? બેબીએ કહ્યું કે બધા રાજ્યપાલોએ સુપ્રીમ કોર્ટના નિર્ણયનો સ્વીકાર કરવો જોઈએ, પરંતુ કેરળના રાજ્યપાલના નિવેદનથી સ્પષ્ટ છે કે તેઓ તેને સ્વીકારતા નથી. તેમના દ્વારા સુપ્રીમ કોર્ટની ટીકા કરવી ખોટી છે.

કેરળના રાજ્યપાલે કહ્યું, ‘જો બંધારણ સુધારો સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવે છે, તો પછી વિધાનસભા અને સંસદની શું જરૂર છે?’ જો બધું માનનીય અદાલતો દ્વારા નક્કી કરવામાં આવે, તો સંસદની કોઈ જરૂર નથી. આ ન્યાયતંત્ર પર અતિક્રમણ છે. સુપ્રીમ કોર્ટે આ મામલો મોટી બેન્ચને મોકલવો જાઈતો હતો, ડિવિઝન બેન્ચે નહીં જેણે તેના પર નિર્ણય લેવો જોઈતો હતો.