જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામના પાટીયા પાસે વહેલી સવારે ૪.૩૦ વાગ્યાના અરસામાં એક કાળમુખા ટ્રકના ચાલકે પદયાત્રા કરીને દ્વારકા દર્શનાર્થે જઈ રહેલી સાંતલપુર જિલ્લાના બકુત્રા ગામની મહિલાઓ પૈકીની ત્રણ મહિલાને કચડી નાખતાં ત્રણેયના અંતરિયાળ મૃત્યુ નીપજ્યા છે, જ્યારે અન્ય પાંચ પદયાત્રી મહિલાઓ ઘાયલ થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ છે. સમગ્ર મામલે જોડીયા પોલીસ તપાસ ચલાવે છે.
આ ગોઝારા અકસ્માતના બનાવવાની વિગત એવી છે કે કચ્છના સાંતલપુર જિલ્લાના બકુત્રા ગામના આઠ મહિલાઓ કે જેઓ પદયાત્રા કરીને દ્વારકાના જગત મંદિર શીશ ઝુકાવવા માટે જઈ રહ્યા હતા. જે દરમિયાન તેઓને જોડિયા તાલુકાના બાલંભા ગામના પાટીયા પાસે વહેલી સવારે ૪.૩૦ વાગ્યે અકસ્માત નડ્યો હતો. પાછળથી એકદમ પૂર પાટ ઝડપે આવી રહેલા કાળમુખા ટ્રકના ચાલકે આઠ પદયાત્રી મહિલાઓને હડફેટેમાં લઈ લેતાં ભારે અફડા તફડી થઈ હતી.
જે દુર્ઘટનામાં ત્રણ પદયાત્રી મહિલાઓ છાનુબેન આહીર (ઉંમર વર્ષ ૫૦) રુડીબેન આહીર (ઉંમર વર્ષ ૫૦) અને સેજીબેન આહીર (ઉંમર વર્ષ ૪૫)ના અંતરિયાળ મૃત્યુ નીપજ્યા હતા. જયારે અન્ય પાંચ પદયાત્રી મહિલાઓ ઇજાગ્રસ્ત બની હોવાથી તમામને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જાડિયાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેઓની સઘન સારવાર ચાલી રહી છે.
આ અકસ્માત બાદ ટ્રકનો ચાલક ત્યાંથી ભાગી છુટ્યો હતો. જે અકસ્માતના બનાવની જાણ થતાં જાડિયા પોલીસ સ્ટેશનની ટુકડી બનાવના સ્થળે તેમજ હોસ્પિટલમાં દોડી ગઈ હતી અને ત્રણે મહિલાઓના મૃતદેહોનો કબજા સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ઇજાગ્રસ્ત મહિલાઓના નિવેદન નોંધી આગળની તપાસ આરંભી છે. આ ગોઝારા અકસ્માતને લઈને સાંતલપુર જિલ્લાના બકુત્રા ગામમાં ભારે ગમગીની છવાઇ છે.