જૂનાગઢ જિલ્લાના ભેંસાણમાં શાળાના આચાર્ય અને શિક્ષક દ્વારા બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાના મામલામાં જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાય દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં બાળકો સાથે કુકર્મ થયાં હોવાનું સામે આવ્યું છે. હવે આ મામલે બે બાળકોના નિવેદનને આધારે પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવશે. હિરેન જાશી અને કેવલ લાખણોદરા નામના આરોપી આચાર્ય અને શિક્ષક સામે ફરિયાદ દાખલ કરાશે.
સ્કૂલના ટ્રસ્ટી મંડળ દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવાનો નિર્ણય લેવાયો છે. હાલ આરોપી આચાર્ય અને શિક્ષકને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.મહત્વનું છે કે જૂનાગઢ જિલ્લાના ભેંસાણમાં અમર શૈક્ષણિક સંકુલમાં આચાર્ય અને શિક્ષક દ્વારા બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ હડકંપ મચી ગયો હતો. ભેંસાણમાં આવેલા અમર શૈક્ષણિક સંકુલની આ ઘટના છે..જ્યાં ૨૦ થી વધુ બાળકો સાથે આચાર્ય અને શિક્ષકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાનો આક્ષેપ થયો છે.
વિદ્યાર્થીઓેએ આ મામલે પોતાના વાલીઓને વાત કરતા સમગ્ર મામલા પરથી પરદો ઉંચકાયો હતો..વાલીઓનું કહેવું છે કે વિદ્યાર્થીઓને રાત્રિના સમયે બોલાવીને તેમની સાથે શારિરીક ચેનચાળા કરવામાં આવતા હતા.. આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.. જા કે વાલીઓએ હાલ પૂરતુ ફરીયાદ નહીં કરવાનું વલણ અપનાવ્યું હતું. દરમ્યાન બાળ સુરક્ષા એકમના લિગલ ઓફિસર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમના દ્વારા ભોગ બનેલા બાળકોના નિવેદન લેવામાં આવ્યા હતા.




































