ઋષભ શેટ્ટીની ફિલ્મ “કાંતારાઃ ચેપ્ટર ૧” ૩૩ વર્ષીય જુનિયર કલાકાર એમએફ કપિલના સેટ પર થયેલા દુઃખદ મૃત્યુ બાદ વિવાદમાં ફસાઈ ગઈ છે. કર્ણાટકમાં ફિલ્મના શૂટિંગ દરમિયાન કપિલ નદીમાં તરતા સમયે ડૂબી ગયો હતો. આ ઘટના મંગળવાર (૬ મે) ના રોજ બની હતી, જેના કારણે ફિલ્મનું શૂટિંગ અચાનક બંધ કરી દેવામાં આવ્યું હતું. હવે, ઓલ ઇન્ડિયન સિને વર્કર્સ એસોસિએશનએ એક નિવેદન બહાર પાડીને આ ઘટનાની તાત્કાલિક અને સંપૂર્ણ તપાસની માંગ કરી છે. તેમણે અભિનેતા-નિર્માતા ઋષભ શેટ્ટી અને પ્રોડક્શન હાઉસ હોમ્બલે ફિલ્મ્સ સામે એફઆઈઆર નોંધાવવાની પણ માંગ કરી છે.
એઆઇસીડબ્લ્યુએએ તેના એકસ (અગાઉનું ટીવટર) હેન્ડલ પર શેર કરેલા એક સત્તાવાર નિવેદનમાં આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું, ‘ઓલ ઇન્ડિયન સિને વર્કર્સ એસોસિએશન કેરળના વૈકોમના મૂસરીથારાના રહેવાસી ૩૩ વર્ષીય જુનિયર આર્ટિસ્ટ એમએફ કપિલના દુઃખદ મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કરે છે, જેમણે ૬ મે, ૨૦૨૫ ના રોજ બપોરે ૩ઃ૪૫ વાગ્યે કર્ણાટકના કોલ્લુર નજીક સૌપર્ણિકા નદી પાસે ફિલ્મ ‘કંટારા ૨’ (પ્રકરણ-૧) ના શૂટિંગ દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હતો.’ નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે, ફિલ્મના નિર્માતા અને અભિનેતા ઋષભ શેટ્ટીના મતે, મૃત્યુનું કારણ તરતા સમયે ડૂબી જવું હતું. કોલ્લુર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ ચૂકી છે.
ભૂતકાળની સમાન ઘટનાઓનો ઉલ્લેખ કરતા,એઆઇસીડબ્લ્યુએ ના નિવેદનમાં ફિલ્મ સેટ પર વારંવાર થતી બેદરકારી અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. તેમાં ભૂતકાળની દુર્ઘટનાઓ ટાંકવામાં આવી હતી, જેમાં તમિલ ફિલ્મો ઇન્ડિયન ૨ અને સરદાર ૨ ના શૂટિંગ દરમિયાન ટેકનિશિયનોના મૃત્યુ અને ગયા વર્ષે નવેમ્બરમાં ૨૦ જુનિયર કલાકારોને સંડોવતા બસ અકસ્માતનો સમાવેશ થાય છે. એઆઇસીડબ્લ્યુએએ વાતથી ખૂબ ચિંતિત છે કે ફિલ્મ સેટ પર મૃત્યુની ઘટનાઓને સતત ખોટી રીતે રજૂ કરવામાં આવે છે. નિર્માતાઓ અને પ્રોડક્શન હાઉસ ઘણીવાર આવી ઘટનાઓની ગંભીરતાને ઓછી આંકે છે અને ગેરમાર્ગે દોરતી માહિતી પૂરી પાડે છે. આ તાજેતરની દુર્ઘટનામાં, ડૂબી જવાના દાવાની સંપૂર્ણ તપાસ થવી જાઈએ જેથી નક્કી કરી શકાય કે શું તે મૃત્યુનું વાસ્તવિક કારણ હતું કે અન્ય પરિબળો સામેલ હતા.
કડક કાર્યવાહીની માંગ કરતા, એઆઇસીડબ્લ્યુએએ આવી ઘટનાઓમાં પારદર્શિતાની જરૂરિયાત પર ભાર મૂક્યો, એઆઇસીડબ્લ્યુએ દ્રઢપણે માને છે કે જ્યારે પણ કોઈ કાર્યકર ફિલ્મ સેટ પર પોતાનો જીવ ગુમાવે છે ત્યારે વાસ્તવિક કારણ ઘણીવાર ઢાંકી દેવામાં આવે છે અને કોઈપણ કાર્યકર જે સત્ય ઉજાગર કરવાનો પ્રયાસ કરે છે તેને ડરાવવામાં આવે છે. આવી દુઃખદ ઘટનાઓ પાછળ સત્ય છુપાવવાની આ પ્રથા બંધ થવી જોઈએ. તેમણે કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી સિદ્ધારમૈયાને કપિલના મૃત્યુની ઉચ્ચ સ્તરીય, નિષ્પક્ષ તપાસનો આદેશ આપવા અને મૃતકના પરિવારને નાણાકીય વળતર આપવાની માંગ કરી. એઆઇસીડબ્લ્યુએ કર્ણાટકના માનનીય મુખ્યમંત્રીને ઉચ્ચ સ્તરીય, નિષ્પક્ષ તપાસ શરૂ કરવા વિનંતી કરે છે.વધુમાં, એઆઇસીડબ્લ્યુએ માંગ કરે છે કે નિર્માતા ઋષભ શેટ્ટી અને પ્રોડક્શન હાઉસ સામે એફઆઇઆર દાખલ કરવામાં આવે.’ વધુમાં, એઆઇસીડબ્લ્યુઅએ “કંટારા ૨” ના નિર્માતાઓને શોકગ્રસ્ત પરિવારને ૧ કરોડ રૂપિયાનું નાણાકીય વળતર આપવા અપીલ કરે છે. અત્યાર સુધી, ઋષભ શેટ્ટી કે ફિલ્મના નિર્માતાઓએ એઆઇસીડબ્લ્યુએ ની માંગણીઓનો જાહેરમાં જવાબ આપ્યો નથી કે ઘટના અંગે કોઈ નિવેદન આપ્યું નથી.