લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અને વર્તમાન સ્થિતિને ધ્યાને લઇ અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે તે હેતુથી અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે અમરેલી જિલ્લામાં તા.૧ મે, ૨૦૨૪ થી તા.૧૫ મે, ૨૦૨૪ સુધી અમલી રહેશે. અમરેલી જિલ્લામાં સભા-સરઘસ કરવા, હથિયાર રાખવા, છટાદાર ભાષણ આપવા અને કોઈપણ સ્ફોટક પદાર્થો લઈ જવા સહિતની બાબતો પ્રતિબંધિત રહેશે. આ ઉપરાંત વ્યક્તિઓ અથવા તેના શબ અથવા આકૃત્તિઓ અથવા પૂતળા દેખાડવાની, લોકોએ બૂમ પાડવાની, ગીતો ગાવાની તથા વાદ્ય વગાડવાની મનાઈ છે. આ ઉપરાંત અમરેલી જિલ્લામાં સંબંધિત જે તે વિસ્તારના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી કે પરવાનગી સિવાય કોઈ સભા મંડળી ભરવાની અથવા સરઘસ કાઢવાની તેમજ સંબંધિત તાલુકા એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી-પરવાનગી સિવાય લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ છે. અમરેલીમાં ફરજ પર રોકાયેલા હોય તેવા પોલીસ જવાનો તથા હોમગાર્ડ સહિતના તમામ સરકારી અને અર્ધ સરકારી અધિકારી-કર્મચારીને કે શારીરિક અશક્ત વ્યક્તિઓને આ જાહેરનામાનો હુકમ લાગુ પડશે નહીં.