જામનગર મહાનગરપાલિકા તંત્રના આરોગ્ય શાખા દ્વારા વર્ષ ૨૦૨૪ના શાળા આરોગ્ય તપાસણીમાં અત્યાર સુધીમાં ૧.૭૨ લાખ બાળકોમાંથી ૧.૨૬ લાખ બાળકોની આરોગ્ય તપાસણી કરતા તેમાં ગંભીર પ્રકારની ૨૨૦ બાળકોને બીમારી સામે આવી. જેમાં હૃદય સંબંધી બીમારીના સૌથી વધુ ૧૨૫ બાળકો મળી આવતાં તેમનું નિઃશુલ્ક સરકાર દ્વારા સારવાર કરાવવામાં આવી છે. તો અમુક બાળકોના વાલીઓએ સ્વખર્ચે સારવાર કરાવી હતી.
શાળા આરોગ્ય તપાસણીમાં બાળકો-વિદ્યાર્થીઓમાંથી ગંભીર પ્રકારની બીમારીઓ મળી આવતાં ગરીબ પરિવારના બાળકોને સરકારના ખર્ચે બાળકો-વિદ્યાર્થીઓની તમામ સારવાર કરાવવામાં આવે છે. ત્યારે જામનગર શહેરમાં આરોગ્ય શાખાએ ૩૩૪ શાળાઓ-હાઈસ્કુલો તેમજ ૩૩૭ આંગણવાડીઓ મળીને કુલ ૧,૭૪,૪૫૧ બાળકોની શાળા આરોગ્ય તપાસણીનો વર્ષ ૨૦૨૪ના એપ્રિલ માસથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
બીજી બાજુ અત્યાર સુધીમાં ૧,૨૬,૩૪૫ બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવતા ૨૨૦ બાળકોને ગંભીર પ્રકારની બીમારીઓ સામે આવી હતી. જેમાં હૃદય સંબંધી બીમારીઓ ૧૨૫, કીડનીની ૩૫, કેન્સરના ૩૫, થેલેસેમીયાના ૨, જન્મજાત બહેરાસ તેમજ અન્ય બીમારીઓ ૨૧ મળીને અત્યાર સુધીમાં ૨૨૦ બાળકોને ગંભીર પ્રકારની બીમારીઓ સામે આવી છે.
જેમાં તમામ બાળકોની સારવાર કરવામાં આવી રહી છે. તો અમુક વાલીઓએ પોતાના ખર્ચે તો અમુક વાલીઓ બીમારીના ખર્ચને પહોંચી ન વળતા તેઓને સરકાર મારફત સારવાર કરાવવામાં આવી છે. જેમાંથી અમુક બાળકોની સારવાર ચાલી રહી છે, તો અમુક બાળકો સંપુર્ણ સ્વસ્થ થયા છે.