ગુજરાતના જાણીતા સંતશ્રી સચ્ચીદાનંદ બાપુની તબિયત લથડી છે. સૂઈગામ ખાતે છેલ્લા કેટલાક દિવસોથી તેઓ પ્રવચન આપી રહ્યા હતા ત્યારે તેમની તબિયત લથડી હતી. સંતશ્રી સચ્ચીદાનંદ બાપુની તબિયત લથડતાં ભાવિક ભક્તો ચિંતિત બન્યા છે. સુઇગામમાં હાલ સ્થાનિક ડોકટર દ્વારા સંતશ્રીને સારવાર અપાઈ રહી છે. ચોંકાવનારી બાબત એ છે કે, તેમણે પોતાની સમાધિ નડાબેટ ખાતે આપવામાં આવે તે માટે બે દિવસ પહેલા જગ્યા પણ નક્કી કરી હતી. અનેક પુસ્તકો લખી સેંકડો લોકોના જીવનમાં પરિવર્તન લાવનાર સંત સચ્ચીદાનંદ બાપુને વર્ષ ૨૦૨૨માં ભારત સરકાર દ્વારા પદ્મભૂષણનો એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. પાકિસ્તાન સરહદે રણ વચ્ચે બિરાજમાન શ્રી નડેશ્વરી માતાજીને જગત સમક્ષ લાવવામાં પૂ.બાપુનો સિંહ ફાળો છે.
પદ્મભૂષણ સંતશ્રી સચ્ચીદાનંદ બાપુની તબિયત લથડવાનો મામલે પાલનપુર, થરાદ અને સુઇગામના ડોકટરોની ટીમે સંતશ્રી સચ્ચીદાનંદ બાપુનું ચેકઅપ કર્યું હતું. બપોરના અપડેટ અનુસાર, હાલ સચ્ચીદાનંદ બાપુની તબિયતસ્થિર હોવાનો ડોક્ટરોનો દાવો છે. પાલનપુર મેડિકલ કોલેજના તબીબો અને ભક્તોની હાજરીમાં સંતશ્રી સચ્ચીદાનંદ બાપુએ તેમના મૃત્યુ બાદ અંગદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
સ્વામી સચ્ચીદાનંદ ગુજરાતના જાણીતા સંત અને લેખક છે. તેમનો જન્મ ૨૨ એપ્રિલ, ૧૯૩૨ ના રોજ ઉત્તર ગુજરાતના મોટી ચંદુર ગામે થયો હતો. તેમનું પૂર્વાશ્રમનું નામ નાનાલાલ મોતીલાલ ત્રિવેદી હતું. તેમણે વારાણસી સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાંથી વેદાન્તાચાર્યની પદવી મેળવી હતી. સ્વામી મુક્તાનંદજી ‘પરમહંસ’ તેમનાં ગુરુ છે. તેમનો શ્રી ભક્તિ નિકેતન આશ્રમ ગુજરાતના દંતાલી ગામ ખાતે આવેલો છે. તેમણે મારા અનુભવો (૧૯૮૫) અને વિદેશયાત્રાના પ્રેરક પ્રસંગો (૧૯૮૫) એમના ચરિત્રલક્ષી ગ્રંથો છે. ભારતીય દર્શનો (૧૯૭૯), સંસાર રામાયણ (૧૯૮૪), વેદાન્ત સમીક્ષા (૧૯૮૭) વગેરે અધ્યાત્મ અને સંસ્કૃતિવિષયક ગ્રંથો લખ્યા છે. સ્વામી સચ્ચીદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજીએ એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં સિંહ ફાળો આપ્યો છે. ૧૯૬૯માં પેટલાદ પાસે દંતાલી ગામમાં ભક્તિનિકેતન આશ્રમની સ્થાપના કરી હતી. ઈ. સ. ૧૯૭૬માં તેનું ટ્રસ્ટ શરૂ કર્યું હતું.
સાત ગુજરાતીઓને વર્ષ ૨૦૨૨ના પદ્મ પુરસ્કારોમાં સ્થાન અપાયું છે. ધાર્મિક ગુરૂ, સમાજસેવક, લેખક અને સમાજસેવકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં સ્વામી સચ્ચીદાનંદને પદ્મ ભૂષણ એવોર્ડ એનાયત કરાયો હતો.