મલયાલમ ફિલ્મ અને ટીવી એક્ટર દિલીપ શંકર આજે સવારે એક હોટલમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તે તિરુવનંતપુરમમાં ઓનેરોઝ જંકશન પાસેની એક હોટલમાં રોકાયો હતો. તેમના નિધનથી મલયાલમ ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. તેના નિધનથી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તેના મિત્રો અને ચાહકો આઘાતમાં છે. રિપોર્ટ અનુસાર, હોટલના એક સ્ટાફે તેને હોટલના રૂમમાં મૃત જોયો અને તરત જ પોલીસને ફોન કર્યો. પોલીસે ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળે છે. ઘણા અહેવાલો કહે છે કે દિલીપ ચાર દિવસ પહેલા ‘પંચાગ્નિ’ નામના ટીવી શોના શૂટિંગ માટે તિરુવનંતપુરમની એક હોટલમાં રોકાયો હતો.
દિલીપ શંકર એર્નાકુલમમાં રહે છે. હોટલના સ્ટાફે જણાવ્યું કે તે બે દિવસથી તેના રૂમમાંથી બહાર આવ્યો નથી.રૂમમાંથી આવતી દુર્ગંધને કારણે હોટલના સ્ટાફે રૂમમાં પ્રવેશ કર્યો અને તેને મૃત હાલતમાં જોયો. તેણે પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તિરુવનંતપુરમ કેન્ટોનમેન્ટના જણાવ્યા અનુસાર ફોરેન્સીક ટીમે રૂમની તપાસ કરી છે અને પોસ્ટમોર્ટમ પછી વધુ માહિતી આપવામાં આવશે.
પોલીસના જણાવ્યા મુજબ, શોમાં દિલીપ સાથે કામ કરી રહેલા દિગ્દર્શક મનોજે મનોરમાને કહ્યું કે, શૂટિંગમાં બે દિવસનો બ્રેક હતો અને આ સમયગાળા દરમિયાન દિલીપે તેના કે તેના કોઈ પણ કો-એક્ટરના કોલનો જવાબ આપ્યો ન હતો. દિગ્દર્શકે તેમને એમ પણ કહ્યું કે દિલીપ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડિત હતા.
દિલીપ શંકરના મૃત્યુની માહિતી મળતા જ અભિનેત્રી, સીમા જી નાયરે ફેસબુક પર મલયાલમ ભાષામાં એક ભાવનાત્મક પોસ્ટ લખી, જેનું ભાષાંતર છે, “તમે મને પાંચ દિવસ પહેલા ફોન કર્યો હતો અને હું વાત કરી શકી ન હતી કારણ કે મને તે દિવસે માથાનો દુખાવો હતો. હવે મને આ સમાચાર વિશે ત્યારે ખબર પડી જ્યારે એક પત્રકારે મને ફોન કર્યો. દિલીપ, તમને શું થયુંપ આવું કેમ થયું, ભગવાન, મને શું લખવું એ પણ સમજાતું નથીપ તમને મારી શ્રદ્ધાંજલિ.”
દિલીપ મલયાલમ ફિલ્મ અને ટીવી જગતનો જાણીતો ચહેરો હતો. તેણે ‘અમર્યાતે’, ‘સુંદરી’ અને ‘પંચાગ્નિ’ જેવા હિટ ટીવી શોથી ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી. તેમણે ૨૦૧૧માં ‘ચપ્પા કુરીશ’ અને ૨૦૧૩માં ‘નોર્થ ૨૪’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.