કોંગ્રેસના દાંતાના ધારાસભ્યશ્રી કાંતિભાઈ ખરાડી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોડીનેટર તથા પ્રવક્તા શ્રી હેમાંગ રાવલ ની આગેવાનીમાં પ્રતિનિધિ મંડળે અંબાજી વહીવટદારશ્રીની મુલાકાત લઈને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે ૫૧ શક્તિપીઠ મહોત્સવના નામે મુખ્યમંત્રી,મંત્રીશ્રીઓ, ધારાસભ્યઓને ૧૭૫૦/- રૂપિયાની જમવાની ડીશ અને ૭૨૦/- રૂપિયાની ચા થઈ હતી. જે કલેકટર બનાસકાંઠા અને સરકારે ચૂકવવાના થાય છે, તે રૂપિયા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે ચુકવ્યા. એક તરફ ૫૧ શક્તિપીઠમાં માતાજીને થાળ ધરાવવામાં આવતો નથી અને બીજી તરફ સરકારી નેતાઓની અને અધિકારીઓની લાખોની જયાફત કરે છે. અંબાજી વહીવટદાર દ્વારા ઉપરોક્ત બાબતે રદિયો આપતા સ્વીકારાયું હતું કે ૧૧,૩૩,૯૨૪ રૂપિયાની ચુકવણી સરકાર દ્વારા ગ્રાન્ટ ન મળ્યાના સંજાગોમાં એજન્સી દ્વારા બિલના નાણાંની ચુકવણી માટે વારંવાર ઉઘરાણી થતાં અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના ભંડોળમાંથી રૂ. ૧૧,૩૩,૯૨૪ની ચુકવણી કરવામાં આવેલ છે અને હજુ સુધી લગભગ ૨૦૦ દિવસ બાદ પણ સરકારે આ રૂપિયા સરભર કરેલ નથી.
જાગૃત નાગરિક દ્વારા આરટીઆઈ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવતા માલુમ પડેલ છે કે હકીકતમાં ઉપરોક્ત જમવાનો ખર્ચ કલેક્ટર બનાસકાંઠાના અંડરમાં નાયબ ચૂંટણી કલેક્ટરશ્રીએ તેના ટેન્ડર મંગાવ્યા હતા. પરંતુ ત્યારબાદ કલેક્ટરશ્રીએ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને સૂચન કરીને ઉપરોક્ત બિલ ચૂકવવા કહેલ. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને લાખો શ્રદ્ધાળુ પોતાની આસ્થાથી દાન આપી રહ્યા છે પરંતુ તેમના દાનનો આ પ્રમાણે દૂર ઉપયોગ થઈ રહ્યો છે અહીં આંખે ઉડીને વળગે તેવી બાબતે છે કે ૧૬ માર્ચ ૨૦૨૪ ના રોજ ચૂંટણી પંચે ચૂંટણી જાહેર કરી હતી. પરંતુ એ પેહલા આ સમયગાળામાં કોઈ ચૂંટણીઓ ન હતી છતાં તે પહેલા નાયબ ચૂંટણી અધિકારીશ્રીઓએ કોના આદેશથી ચૂંટણી પંચના લેટરપેડ ઉપર આવા પ્રકારનો વર્ક ઓર્ડર આપેલ હતો તે પણ એક મોટો તપાસનો વિષય છે. અને ચૂંટણી પંચના ખર્ચ હોય તો એ કેન્દ્રનું ચૂંટણી પંચ અથવા ગુજરાતનું ચૂંટણી પંચ ચૂકવે, ચૂંટણી પંચના લેટર પેડનો દુર ઉપયોગ કરીને ચૂંટણી પંચ બીલ અંબા માતા દેવસ્થાન ટ્રસ્ટને કંઈ રીતે મોકલી શકે? અને મોકલ્યું હોય તો પણ દેવસ્થાન ટ્રસ્ટ બિલ મંજૂર કરે એનું એક જ કારણ જીલ્લા ચૂંટણી અધિકારી હોદ્દાની રુએ બનાસકાંઠા કલેકટર અને અંબા માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન પણ હોદ્દાની રુએ પણ બનાસકાંઠા કલેક્ટર એટલે દલા તરવાડીની જેમ વેહેચણી કરી નાખવાની.
વિધાનસભાનાં અધ્યક્ષ આ બધા વીવીઆઇપીને આમંત્રણ આપીને અંબાજી લાવ્યા હતા તો આ બધા અધ્યક્ષના મહેમાનો હતા તો આ ખર્ચ ખરેખર આસ્થા અને શ્રદ્ધાથી ભકતોના આવેલાં દાનના નાણાંથી ખર્ચવાને બદલે અધ્યક્ષશ્રીએ સ્વયં પોતાનાં નાણાં આપવાં જોઈએ અથવા સરકારમાંથી નાણા અપાવવા જોઈએ. શક્તિપીઠ અંબાજી ખાતે મુખ્યમંદિર સિવાય બીજા ૬૧ મંદિરો (૫૧ શક્તિપીઠ સહિત) દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલન કરવામાં આવે છે. જેની મુર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી છે. ૫૧ શક્તિપીઠ મંદિરોનું લોકાર્પણ ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવેલ હતું. પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પણ અંબાજી મંદિરમાં પરમ આસ્થા ધરાવતા હતા, આ શક્તિ મંદિરોમાં કોરોના પહેલા માતાજીને વિધિવત રીતે ભોજન થાળ ધરાવવામાં આવતો હતો પરંતુ કોરોના દરમિયાન મહામારીના બહાને ઉપરોક્ત રાજભોગ થાળ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા બંધ કરી દેવામાં આવેલ હતો ત્યારબાદ માઇભક્તોની વારંવાર રજૂઆત બાદ પણ આ રાજભોગ ધરાવવા માટેના શાસ્રોક્ત વિધિ વિધાન હજુ પણ શરૂ કરવામાં આવેલ નથી.
અંબાજીના સ્થાનિકો તથા માઈ ભક્તોની રજૂઆતના આધારે ગુજરાત કોંગ્રેસ માંગણી કરે છે કે જો મુખ્યમંત્રીશ્રી અને ધારાસભ્યશ્રીઓને માટે ૧૭૪૫ રૂપિયાની જમવાની થાળી અને ૭૨૦ની ચાની ચૂસકી ધર્મપ્રેમી જનતાએ આપેલા દાનના રૂપિયાથી ચૂકવવામાં આવેલ હોય. જ્યાં માતાજીનું હ્રદય બિરાજમાન છે ત્યાં માતાજીની આસ્થા સાથે ચેડાં થતાં ભક્તોના હ્રદયને ઠેસ પહોંચી છે માટે સત્વરે ઉપરોક્ત બિલના નાણાં મંદિર ટ્રસ્ટમાં પરત લાવવા કડક કાર્યવાહી કરવામાં આવે. જો ભક્તોની આસ્થા સમાન તેમના દાનના નાણા સરકાર દ્વારા મંદિર ટ્રસ્ટને પાછા આપવમાં નહીં આવે તો કોંગ્રેસના કાર્યકર્તાઓ અંબાજી મંદિરનો ઊઇકોડ લઈને ભાજપના ધારાસભ્યોના મતવિસ્તારમાં તેમની પાછળ ખર્ચાયેલા મંદિરના રૂપિયા નાગરિકો પાસેથી દાન સ્વરૂપે ઉઘરાવશે.