ચૂંટણી પંચ દ્વારા મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં ૨૦ નવેમ્બરે એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે અને ૨૩ નવેમ્બરે પરિણામ જાહેર થશે, પરંતુ તે પહેલા રાજ્ય સરકારને ચૂંટણી પંચ તરફથી મોટો ફટકો પડ્યો છે. ચૂંટણી પંચે શિંદે સરકાર વિરુદ્ધ કાર્યવાહી કરી છે, જેના કારણે તેમણે આચારસંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ ટેન્ડર અને ઘણા જીઆર રદ કરવા પડ્યા હતા.
વાસ્તવમાં ચૂંટણી પંચે આચારસંહિતા લાગુ થયા પહેલા મહામંડળ પર કરાયેલી નિમણૂકો અને આચારસંહિતા લાગુ થયા બાદ લીધેલા નિર્ણયોના ઉતાવળે અમલીકરણને આચારસંહિતાનું ઉલ્લંઘન ગણાવ્યું છે, જે બાદ હવે જ્યાં સુધી આચારસંહિતા અમલમાં છે ત્યાં સુધી આ નિર્ણયો જેમના તેમ જ રાખવાના આદેશો આપવામાં આવ્યા છે અને કડકતા પણ દાખવવામાં આવી છે.
આ સાથે જે નિર્ણયો પર જીઆર બહાર પાડવામાં આવ્યા હશે તેનો અમલ થયો નથી. તેમને પેન્ડીંગ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આચારસંહિતા લાગુ થયા બાદ પણ રાજ્ય સરકારે ઘણા નિર્ણયો જારી કર્યા હતા અને તેના માટે ટેન્ડર બહાર પાડ્યા હતા. આચારસંહિતાના નિયમોનું ઉલ્લંઘન કરીને આવી કાર્યવાહી કરવામાં આવે છે. કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્ય સરકારને પણ આ અંગે વિગતવાર અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે.
આવી સ્થિતિમાં કેન્દ્રીય ચૂંટણી પંચના આક્રમક વલણને જાતા રાજ્યની એકનાથ શિંદે સરકારે આચારસંહિતા દરમિયાન સરકારી વેબસાઈટ પર જારી કરાયેલા ૧૦૩ નિર્ણયો અને ૮ ટેન્ડર રદ કર્યા છે. તાજેતરમાં, ચૂંટણી પંચ દ્વારા મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી હતી, જેના પછી તરત જ શિંદે સરકારે તેની સત્તાવાર વેબસાઇટ પર નિમણૂંકો અને ટેન્ડરો બહાર પાડ્યા હતા. આ પછી ચૂંટણી પંચ તરફથી તેમને પત્ર મોકલવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે આચારસંહિતા લાગુ થયા બાદ નિર્ણય લઈ શકાય નહીં.