ચિતલ સ્વામિનારાયણ ગુરુકુળના ક્લાર્ક સામે વિદ્યાર્થીઓ પાસેથી ફી, સંસ્થાના વાહન ભાડાના પૈસા લીધા બાદ જમા ન કરાવવા બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આરોપી સામે કુલ ૭,૪૪,૯૫૦ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ચિતલ ગુરુકુળમાં સેવક તરીકે નોકરી કરતાં રસિકભાઈ કાનજીભાઈ ચૌહાણએ મોણપુર ગામના જયદીપભાઈ પ્રવિણભાઈ વસોયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપીએ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ચિતલ નામની સંસ્થામાં પોતાની કલાર્ક તરીકેની નોકરી દરમિયાન સંસ્થાની ફી’ની રસીદબુકમાં પાવતી નં.૧ થી ૧૩૮ ના હિસાબ પેટે આવેલ રકમમાંથી રૂ.૧,૮૦,૩૫૦, સંસ્થાના વાહન ભાડાની રસીદમાં પાવતી નં.૧ થી ૩૯ ના હિસાબ પેટે આવેલી રકમમાંથી રૂ.૧,૫૧,૧૫૦, વિદ્યાથીઓની ફી’ના રૂપિયા લઈ પાવતીઓ આપી ન હોય અને તે રકમ જમા કરાવેલી ન હોય તેવી કુલ રકમ રૂ.૧,૬૬,૯૫૦, અગાઉના વર્ષની વિદ્યાર્થીઓની ફી’ની પાવતીનો ચાલુ વર્ષમાં ઉપયોગ કરી વિદ્યાર્થીઓ પાસેથી ફી’ પેટે રૂપિયા લીધેલ કુલ રકમ રૂ.૧,૯૬,૫૦૦, સંસ્થાના બાળકોને વધારાના અભ્યાસ અર્થે તેમજ સ્ટેશનરી માટે લીધેલ ફી’ આશરે રૂ.૫૦,૦૦૦ મળી કુલ રકમ રૂ.૭,૪૪,૯૫૦ સંસ્થામાં જમા કરાવી નહોતી. આરોપીએ તેમને સોંપાયેલી ફરજનો દુરૂપયોગ કરી ગુનાહીત વિશ્વાસઘાત કર્યો હતો.