હાલ રાજ્યમાં બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઇ પોલીસ કમિશ્નર જી એસ મલિકે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેઓએ કેસને લઇ મહત્વની બાબતો જણાવી હતી. સમગ્ર ઘટનાને લઇ તેઓએ જણાવ્યુ હતુ કે ખ્યાતિ હોસ્પિટલ કેસની દોર ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. જેમાં હાલ ફરાર ડોકટર આરોપી સામે લૂકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.પોલીસ કમિશ્નરના જણાવ્યા મુજબ આરોપી ગુજરાતમાંથી ભાગી ગયા હોવાની આશંકા તેઓને લાગી રહી છે.
જેને લઇ હાલ પોલીસ અને ક્રાઇમબ્રાન્ચ દ્વારા કામગીરીને વધારે કડક બનાવી દેવાઇ છે. ઘટનામાં ડો.પ્રશાંત વજીરાણીની ધરપકડ બાદ પોલીસે ક્રાઇમ બ્રાન્ચને કસ્ટડી સોંપી હતી. જેમાં ચાર્જશીટ બાદ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવશે. જોકે હાલ ડો. પ્રશાંત વજીરાણીને ૭ દિવસના રિમાન્ડ પર રાખવામાં આવ્યા છે.અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસમાં મોટો ખુલાસો થયો છે. વિગતો મુજબ આરોપી ડા.પ્રશાંત વજીરાણીએ ૪ વર્ષમાં ૭ હજાર સર્જરી કરી હોવાનો ખુલાસો થયો છે. આરોપીએ ૪૨ દિવસમાં ૨૨૧ એન્ડીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી કરી હતી. જેમાં ઓક્ટોબર મહિનામાં ૧૬૬ એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી કરી હતી તો નવેમ્બર મહિનામાં ૫૫ એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી કરી હતી. આયુષ્યમાન યોજનાનો લાભ લેવા તમામ ફાઈલ મોકલાવામાં આવી હતી.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં ૨ દર્દીના મોત મામલે હવે તપાસ તેજ બની છે. વાસ્તવમાં તપાસ સમિતિએ ખ્યાતિ હોસ્પિટલની તપાસ શરૂ કરી છે. વિગતો મુજબ તપાસ સમિતિએ ગાંધીનગર જઈ તપાસ શરૂ કરી છે. જેમાં યોજનાનો લાભ લેવા સરકારમાં કેટલી ફાઈલો મોકલી તેની તપાસ શરૂ કરાઇ છે. આ સાથે તપાસ સમિતિ ગાંધીનગરમાં તમામ ડેટા મેળવી રહી છે. આ સાથે અત્યાર સુધીમાં કેટલા કેસમાં યોજનાનો લાભ લીધો તેની તપાસ થશે.