સાવરકુંડલાના સરકાર સૈયદ દાદા બાપુ કાદરી ફાતેમીના સુપુત્ર સરકાર સૈયદ મુનીર બાપુ કાદરી તાલાલા મસ્જિદના સંગે બુનિયાદ પ્રસંગે ઘાટવડ પધાર્યા હતા. તેમણે અલ મદીના મસ્જિદમાં અસરની નમાઝ અદા કરી હતી અને ત્યારબાદ તેમના અધ્યક્ષ સ્થાને નેક કામ મિશનની મહત્વપૂર્ણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં કોડીનારના સાદાત સમાજના પ્રમુખ સૈયદ જિલ્લાની બાપુ કાદરી, સરકાર સૈયદ ફરજંદ અલી બાપુ કાદરી, ઘાટવડના સૈયદ ઈર્શાદ હુસેન બાપુ તેમજ સાવરકુંડલાથી હાફિજ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઘાટવડ ઘાંચી મુસ્લિમ સમાજના પટેલ આદમભાઈ ચૌહાણ સહિત સમાજના અગ્રણીઓએ પણ મિટિંગમાં હાજરી આપી હતી. કાર્યક્રમ બાદ સરકાર મુનીર બાપુએ સરકાર જાગૃતશા બાબાની દરગાહ અને ઘાટવડ સુન્ની મુસ્લિમ જમાતના જમાતખાનાની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ઘાંચી મુસ્લિમ સમાજના યુવાનો અને વડીલોએ મુનીર બાપુની મુલાકાત લઈ તેમનું સ્વાગત કર્યું હતું.