દિલ્હી હાઈકોર્ટે સોમવારે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ટીમ ઈન્ડીયાના વર્તમાન મુખ્ય કોચ ગૌતમ ગંભીર, તેમની સંસ્થા (ગંભીર ફાઉન્ડેશન) અને પરિવારના સભ્યો સામે ચાલી રહેલી ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો. ટ્રેન્ડીંગ વીડિયો ગૌતમ ગંભીરની અરજી પર સુનાવણી કરતી વખતે, જસ્ટીસ નીના બંસલ કૃષ્ણાએ કહ્યું કે કોર્ટ ૨૯ ઓગસ્ટે આ મામલાની વિગતવાર સુનાવણી કરશે. ગૌતમ ગંભીરે એફઆઇઆર રદ કરવા અને ૯ એપ્રિલે આપેલા આદેશને પાછો ખેંચવાની અપીલ કરી હતી, જેમાં ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પરનો સ્ટે હટાવવામાં આવ્યો હતો.

આ કેસની સુનાવણી દરમિયાન, જ્યારે ગૌતમ ગંભીરના વકીલે તેમની રાજકીય અને ક્રિકેટ  કારકિર્દીનો ઉલ્લેખ કર્યો, ત્યારે કોર્ટે કડક સ્વરમાં કહ્યું, ‘તમે વારંવાર નામો અને ઓળખ ગણી રહ્યા છો, જાણે કે કોર્ટમાં તેની કોઈ અસર થશે. કોર્ટમાં ફક્ત તથ્યો અને કાયદા જ કામ કરે છે, નામો નહીં.’

બીજી તરફ, ગૌતમ ગંભીર વતી વકીલ જય અનંત દેહદરાયે જણાવ્યું હતું કે તેમના ક્લાયન્ટ ભૂતપૂર્વ સાંસદ, ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન અને વર્તમાન કોચ છે. કોવિડ મહામારી દરમિયાન, તેમણે લોકોને મદદ કરવા માટે ઓકસીજન સિલિન્ડર અને દવાઓ મફતમાં વહેંચી હતી. પરંતુ હાઈકોર્ટે કહ્યું કે આ બાબતો આ કેસમાં સંબંધિત નથી.

૨૦૨૧ માં કોવિડ-૧૯ ની બીજી લહેર દરમિયાન, દિલ્હી ડ્રગ કંટ્રોલ વિભાગે ગંભીર અને તેમની સંસ્થા સામે ફરિયાદ દાખલ કરી હતી. એવો આરોપ છે કે ગંભીર ફાઉન્ડેશન અને તેમના પરિવારે લાઇસન્સ વિના કોવિડ દવાઓનો સંગ્રહ અને વિતરણ કર્યું હતું. આ કેસમાં, ટ્રાયલ કોર્ટે ગૌતમ ગંભીર, તેમની પત્ની નતાશા ગંભીર, માતા સીમા ગંભીર અને ફાઉન્ડેશનના સીઈઓ અપરાજિતા સિંહને સમન્સ જારી કર્યા હતા. બધા પર ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટની કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે કલમ ૧૮  અનુસાર, લાઇસન્સ વિના દવાઓનું ઉત્પાદન, વેચાણ અથવા વિતરણ પ્રતિબંધિત છે. તે જ સમયે, કલમ ૨૭ મુજબ, આ નિયમનું ઉલ્લંઘન કરવા બદલ ઓછામાં ઓછા ત્રણ વર્ષ અને વધુમાં વધુ પાંચ વર્ષની કેદ અને દંડની જોગવાઈ છે.

સપ્ટેમ્બર ૨૦૨૧ માં, હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર સ્ટે મૂક્યો હતો અને ડ્રગ કંટ્રોલ વિભાગ પાસેથી જવાબ માંગ્યો હતો. પરંતુ આ વર્ષે ૯ એપ્રિલે, કોર્ટે સ્ટે ઉઠાવી લીધો હતો. ગંભીર પક્ષનું કહેવું છે કે તેમના વકીલ તે દિવસે કોર્ટમાં હાજર ન હતા અને તેમને સાંભળ્યા વિના સ્ટે ઉઠાવી લેવામાં આવ્યો હતો.