ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને આઇએસઆઇએસ કાશ્મીર તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે, આ કેસમાં મોટો ખુલાસો થયો છે. ધમકી આપનાર યુવક ગુજરાતનો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી છે.
ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને ૨૨ એપ્રિલનાં રોજ મારી નાખવાની ધમકી મળી હતી. બાદમાં ગંભીરે રાજીન્દર નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગંભીરને ધમકીભર્યો મેઈલ મળ્યો તે પહેલા પહેલગામ હુમલા પર આકરી ટીકા કરી હતી. ગંભીરને મેઈલ મોકલનાર ૨૧ વર્ષીય યુવક જીગ્નેશસિંહ પરમાર તરીકે ઓળખ થઈ છે, તે ગુજરાતમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે યુવકની ધરપકડ કરી છે. યુવક એન્જીનિયરિંગનો અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે. યુવકના પરિવારનો દાવો છે કે તે માનસિક રીતે અસ્વસ્થ છે.
ગૌતમ ગંભીરને ૨૨ એપ્રિલના રોજ બે ધમકીભર્યા ઇમેઇલ મળ્યા હતા. એક બપોરે અને બીજા સાંજે આવ્યો હતો. બંને ઈમેલમાં ‘હું તને મારી નાખીશ’ એવો સંદેશ લખેલો હતો. આ પહેલી વાર નથી જ્યારે ગંભીરને આવી ધમકીઓ મળી હોય. નવેમ્બર ૨૦૨૧ માં, જ્યારે ગંભીર સાંસદ તરીકે સેવા આપી રહ્યા હતા, ત્યારે તેમને પણ આવો જ એક ઈમેલ મળ્યો હતો.
ગૌતમ ગંભીરે કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી હતી. મંગળવારે પહેલગામના બૈસરન ખીણમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો. આ સમયગાળા દરમિયાન, બે વિદેશીઓ સહિત ૨૬ નાગરિકોના મોત થયા. ૨૦૧૯ના પુલવામા આતંકવાદી હુમલા પછી આ સૌથી ભયાનક ઘટનાઓમાંની એક બની ગઈ.
પાકિસ્તાન સ્થીત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના હિટ સ્ક્વોડ, રેઝિસ્ટન્સ ફ્રન્ટએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. ગંભીરે આ હુમલાની સખત નિંદા કરી અને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું, ‘મૃતકોના પરિવારો માટે પ્રાર્થના.’ આ માટે જવાબદાર લોકોએ તેની કિંમત ચૂકવવી પડશે. ભારત પ્રહાર કરશે.