આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ મનરેગામાં ચાલતા ભ્રષ્ટાચાર બાદ હવે સરકારી અનાજમાં થઈ રહેલી કાળાબજારીનો મુદ્દો ઉપાડ્યો છે. ત્યારે તેમણે અનાજ માફિયાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે પોલીસ સ્ટેશન બહાર મોરચો માંડ્યો છે.
સરકારી અનાજના થઈ રહેલા કાળાબજાર મામલે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ વિસાવદર પોલીસ સ્ટેશને ૧ ઓગસ્ટના રોજ રાતે ધામા નાંખ્યા હતા. ઈટાલિાયએ અનાજ માફિયાઓ સામે ગુનો નોંધવાની માગ કરી હતી. પરંતું અનાજની ચોરીનો મામલો હોવાથી પુરવઠા વિભાગમાં ફરિયાદ કરવા જણાવ્યું. જેના બાદથી માહોલ ગરમાયો છે. આ દરમિયાન મહિલા PSI અને ગોપાલ ઈટાલિયા વચ્ચે શાબ્દીક ચકમક પણ થઈ હતી.
ગોપાલ ઈટાલિયાએ સોશિયલ મીડિયા પર આક્ષેપ કરતા કહ્યું કે, વિસાવદરમાં કરોડોના અનાજની ચોરી થઈ છે. સરકાર તરફથી જૂન અને જુલાઈ મહિનાનું ભેગું અનાજ આપવામાં આવ્યું હતું પરંતુ વિસાવદર અને ભેસાણના અનાજ માફિયાઓ દ્વારા ગરીબોના બંને મહિનાના સાથે અંગુઠા લઈને થોડુંક અનાજ આપીને બાકીનું અનાજ બારોબાર સગેવગે કરી નાખ્યું હતું. હું અત્યારે વિસાવદર પોલીસ સ્ટેશન છું. બપોરના અગિયાર વાગ્યાથી અનાજ માફિયાઓ વિરૂદ્ધ એફઆઈઆર કરાવવા માટે રખડીએ છીયે પરંતુ અત્યાર સુધી પોલીસે બહાના કાઢ્યા અને હવે ઈન્સ્પેક્ટર રોહિત તેમજ ઈન્સ્પેક્ટર સોનારા મેડમે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, અમને એફઆઈઆર કરવાની ઉપરથી સ્પષ્ટ મનાઈ છે. તમારે જે કરવું હોય તે કરો, અમે તમારી એફઆઈઆર નહીં લખીયે.
તેમણે વધુમાં કહ્યું કે, નામજાગ ચાર જેટલા અનાજ માફિયાઓને બચાવવા માટે વિસાવદર તેમજ ભેંસાણ મામલતદાર કચેરી, વિસાવદર પોલીસ વિભાગ તેમજ પુરવઠા વિભાગ સહિતનું તમામ સરકારી તંત્ર માફિયાઓના તરફેણમાં કામે લાગ્યું છે. માફિયાના તરફેણમાં તમામ સરકારી તંત્ર છે, હું ગરીબોની તરફેણમાં કામ કરું છું. ગરીબોના પેટનો કોળીયો છીનવી લેનારા સામે અને તેને છાવરનારા સામે હું સંઘર્ષ કરી રહ્યો છું. અત્યારે હું અને અમારી ટીમ વિસાવદર પોલીસ સ્ટેશને બેસી ગયેલ છીયે અને જ્યાં સુધી નામજાગ એફઆઈઆર ન થાય ત્યાં સુધી સંઘર્ષ કરવામાં મને તમારી મદદની જરૂર છે.
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા ભેંસાણ તાલુકામાં ચાલતા મનરેગાના કામમાં ગેરરિતી અને મજૂરોના પૈસા ખવાયા હોવાના આક્ષેપો કરાયા હતા. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભેસાણ તાલુકાના ગામડાઓમાં મનરેગા દ્વારા તળાવ ઊંડા ઉતારવાના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો એક વિડીયો બનાવ્યો હતો.







































