બિહારના ગોપાલગંજ જિલ્લામાં ૫૩ થી વધુ પોલીસ અધિકારીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. એવો આરોપ છે કે ટ્રાન્સફર પછી, આ અધિકારીઓએ કેસ ફાઇલ નવા અધિકારીને ટ્રાન્સફર કરી ન હતી. આ કારણે ઘણા કેસ લાંબા સમયથી પેન્ડીંગ છે. આ કારણોસર, આ અધિકારીઓ સામે ટ્રાન્સફર પછી પણ તેમની જગ્યાએ આવેલા અધિકારીને કેસ ફાઇલો ન સોંપવા અને ઘણા કેસોની તપાસમાં અવરોધ ઉભો કરવા બદલ કેસ નોંધવામાં આવ્યા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે જિલ્લાના ચાર પોલીસ સ્ટેશનમાં ૫૩ પોલીસ અધિકારીઓ સામે એફઆઇઆર નોંધવામાં આવી છે. જો તેઓ આગામી એક અઠવાડિયામાં કેસ સોંપવામાં નિષ્ફળ જાય, તો તેમની સામે વિભાગીય કાર્યવાહી પણ શરૂ કરવામાં આવશે, એમ ગોપાલગંજના પોલીસ અધિક્ષક અવધેશ દિક્ષિતે જણાવ્યું હતું. જિલ્લા પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે એવું જાણવા મળ્યું છે કે ઘણા કેસોમાં તપાસ બાકી હતી કારણ કે તત્કાલીન તપાસ અધિકારીઓ (કુલ ૫૩) ની બદલી કરવામાં આવી હતી અને તેમણે ફાઇલો અન્ય અધિકારીઓને સોંપી ન હતી. ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ તમામ ૫૩ પોલીસ અધિકારીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. અગાઉ, મુઝફ્ફરપુર જિલ્લામાં ૧૩૪ પોલીસ અધિકારીઓ સામે દસ્તાવેજા તેમના નવા ચાર્જ સંભાળવાના સ્થળોએ લઈ જવા બદલ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી, જેના કારણે ૯૦૦ થી વધુ કેસોમાં તપાસમાં અવરોધ ઉભો થયો હતો. ગયા મહિને મુઝફ્ફરપુરમાં ૧૩૪ પોલીસ અધિકારીઓ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આ પોલીસકર્મીઓ પર ૯૪૩ કેસોની તપાસમાં અવરોધ ઉભો કરવાનો આરોપ હતો. બદલી પછી સંબંધિત અધિકારીઓએ ૯૪૩ કેસોની ફાઇલો નવા અધિકારીઓને સોંપી ન હતી. આના કારણે, સેંકડો કેસ પાંચથી દસ વર્ષથી વધુ સમયથી પેન્ડીંગ છે અને પીડિતો ન્યાય માટે આમતેમ દોડીને કંટાળી ગયા છે અને ઘરે બેસી રહ્યા છે.