પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને દેશના પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહના
નેતૃત્વ હેઠળ ભારત સરકારે સહકારીતા ક્ષેત્રે એક ક્રાંતિકારી પગલું ભર્યું છે. “ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલય બિલ” લોકસભા અને રાજ્યસભામાં પાસ થયા બાદ હવે ગુજરાતની ભૂમિ પર આ વિશ્વવિદ્યાલયની સ્થાપના થવા જઈ રહી છે. આ વિશ્વવિદ્યાલય સહકારી શિક્ષણ અને સંશોધનને વેગ આપશે એટલું જ નહીં, પરંતુ સમગ્ર સહકારી ક્ષેત્રને વધુ વ્યાવસાયિક અને અસરકારક બનાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.એનસીયુઆઈના અધ્યક્ષ દિલીપભાઈ સંઘાણીએ આ પહેલને સહકારી આર્થિક આંદોલનને સુવર્ણ યુગમાં પ્રવેશ કરાવનાર ઐતિહાસિક કદમ ગણાવ્યું છે. તેમણે જણાવ્યું કે વ્યાવસાયિક શિક્ષણની ઉણપને કારણે યુવાનો સહકારથી દૂર રહેતા હતા, પરંતુ હવે આ વિશ્વવિદ્યાલય દ્વારા તેઓ સહકારી તાલીમ, પ્રચાર, શિક્ષણ, માર્કેટિંગ અને મંડળી વ્યવસ્થાપનનું જ્ઞાન મેળવી શકશે. યુવા તાલીમના માધ્યમથી સહકાર ક્ષેત્ર કોર્પોરેટ સેક્ટર સાથે વ્યવસાયિક તાલમેલ સાધવા સક્ષમ બનશે. સહકારી અને સાર્વજનિક વિકાસમાં યુવાનોને હિસ્સેદાર બનાવવા અને તેમને આત્મનિર્ભર વ્યવસાય માટે તૈયાર કરવા ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલય “સહકાર થી સમૃદ્ધિનો” માર્ગ બનશે. આ વિશ્વવિદ્યાલય યુવા શક્તિમાં સહકારી શિક્ષણના બીજ રોપશે જે લાંબા ગાળે વિકસિત ભારત ૨૦૪૭ ના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.