હવામાન વિભાગે આગાહી કરી છે કે એપ્રિલના અંત અને મે મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં તાપમાન ૪૦ થી ૪૪ ડિગ્રી વચ્ચે રહેશે. આજે રાજકોટમાં તાપમાન ૪૩ ડિગ્રી છે, જ્યારે અમદાવાદ, અમરેલી અને ભુજમાં પારો ૪૧ ડિગ્રીને પાર કરી ગયો છે. પવનની દિશા બદલાતાં ૨૭ એપ્રિલ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની ધારણા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં ૮ રાજ્યોના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. આગામી બે દિવસ ભાર વરસાદની કોઈ શક્યતા નથી. ૧લી મેથી ૫ મે સુધી વાતાવરણમાં ઠંડક ફેલાશે. ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડશે. ઉત્તર ગુજરાતના પાટણ અને વાવ-થરાદ, કચ્છના રાપરમાં છુટાછવયા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. રાજકોટનાં જસદણમાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે. આટકોટ, જંગવડ, સહિત વિસ્તારોમાં ધુમ્મસથી લોકોને ડબલ ઋતુનો અનુભવ થયો છે. સવારે ઠંડક અને બપોરે કાળજાળ ગરમીનો અહેસાસ થયો છે. બીજી બાજુ વાતાવરણમાં પલટો આવતાં ખેતીનાં પાકને મિશ્ર અસર થશે તેમ ખેડૂતોનું માનવું છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન ઓછું રહેશે, પરંતુ ગરમ પવનોને કારણે ભીષણ ગરમી પડવાની શક્યતાઓ જણાઈ રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં આગામી ૭ દિવસ સુધી મહત્તમ તાપમાન ૪૦ થી ૪૪ ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઊથલપાથલ થઈ શકે છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં ચાલુ ઉનાળાની ઋતુ દરમિયાન અસહ્ય ગરમીને કારણે કામદારોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે શુક્રવાર, ૨૫ એપ્રિલથી થોડા દિવસો સુધી ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ, અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વરસાદની આગાહી છે. ૮ મેના રોજ ઉત્તર ભારત અને ગુજરાતમાં માવઠાની આગાહી છે. ચક્રવાતી પવનોની રચનાને કારણે વાતાવરણમાં ફેરફારને કારણે વરસાદની શક્યતા છે.
રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ યથાવત જાવા મળી રહ્યો છે. રાજ્યમાં ૮ જિલ્લામાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર થયું છે. રાજકોટમાં સૌથી વધુ તાપમાન ૪૩ ડિગ્રી નોંધાયું છે, અમદાવાદમાં ૪૧.૭ ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં ૪.૮ ડિગ્રી તાપમાન, ડીસામાં ૪૦.૫ ડિગ્રી તાપમાન, ભુજમાં ૪૧.૫ ડિગ્રી તાપમાન, કંડલા એરપોર્ટમાં ૪૨ ડિગ્રી તાપમાન નોંધાયું છે, અમરેલીમાં ૪૧.૧ ડિગ્રી તાપમાન, સુરેન્દ્રનગરમાં ૪૧.૮ ડિગ્રી તાપમાન, વડોદરામાં ૩૯.૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ગુજરાતમાં ગરમીનો પારો ૪૨ ડિગ્રીને પાર કરી ગયો છે, ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસે વાહનચાલકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અમદાવાદમાં લગભગ ૭૪ ટ્રાફિક સિગ્નલ બપોરે બંધ રહેશે, જેનો અર્થ એ થયો કે વાહનચાલકોને હવે તડકામાં સિગ્નલ પર ઊભા રહેવાની જરૂર રહેશે નહીં. બાકીના ચાલી રહેલા સિગ્નલોનો સમય પણ ઘટાડવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં કુલ ૨૭૪ ટ્રાફિક સિગ્નલ છે, જેમાંથી ૭૪ સિગ્નલો બપોરે ૧૨ થી ૪ વાગ્યા સુધી બંધ રહેશે. જ્યારે ૨૦૦ સિગ્નલો સક્રિય રાખવામાં આવશે.