ગુજરાત સહિત દેશભરમાં આગામી ૧૦૦ દિવસ સુધી ટ્યૂબરક્યુલોસિસ નિર્મૂલન ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પરંતુ ટી.બી. નિર્મૂલન ઝુંબેશના આ દાવા અને વાસ્તવિક્તા વચ્ચે જમીન-આસમાનનું અંતર છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં જ ટી.બી.ના ૨.૭૮ લાખથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. જ્યારે ૧૦,૩૮૯ના મૃત્યુ થયા છે. આ પૈકી આ વર્ષે જ ૪૪૧૩ વ્યક્તિએ ટી.બી. સામે જીવ ગુમાવ્યો છે. આમ, આ વર્ષની સ્થિતિએ પ્રતિ દિવસે ૧૪ વ્યક્તિ ટી.બી. સામે જીવ ગુમાવે છે.
ગુજરાતમાં આ વર્ષે ૨૬મી ડિસેમ્બર સુધીમાં ટી.બી.ના ૧.૩૪ લાખ કેસ નોંધાઇ ચૂક્યા છે. આમ, દર વર્ષે ટી.બી.ના ૧ લાખથી વધુ કેસ નોંધાવવાનો સિલસિલો યથાવત્ છે. વર્ષ ૨૦૨૪માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી સૌથી વધુ ૧૫, ૩૯૪ કેસ નોંધાયા છે. બીજી તરફ અમદાવાદ ગ્રામ્યમાં ૩,૫૫૭ કેસ નોંધાયા છે. અમદાવાદ જિલ્લામાં આ વર્ષે જ ૧૮,૯૫૧ કેસ નોંધાઇ ચૂક્યા છે તેમ કહી શકાય. સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં સુરત ૧૫,૧૪૯ કેસ સાથે બીજા સ્થાને છે.
યુવાનોમાં ટી.બી.ના વધતા જતાં કેસ ચિંતાનો વિષય છે. ડોક્ટરોના મતે, વાળ અને નખ સિવાય ટી.બી. શરીરના કોઈ પણ ભાગને અસર કરી શકે છે. પરંતુ મોટાભાગે ફેફસાંમાં થાય છે, જે પલ્મોનરી ટી.બી. કહેવાય છે. પલ્મોનરી ટીબીનો ચેપ સક્રિય બને તો અંદાજે ૯૦ ટકા કેસમાં તે ફેફસાંને અસર કરે છે, તેના લક્ષણોમાં છાતીમાં દુઃખાવો તથા લાંબા ગાળા સુધી ગળફા સાથેની ખાંસી થાય છે. અંદાજે ૨૫ ટકા લોકોમાં કોઈ લક્ષણ ન પણ જાવા મળે. ક્યારેક લોકોને ગળફામાં થોડું લોહી પડી શકે છે, જ્યારે કોઈ દુર્લભ કિસ્સામાં પલ્મોનરી આર્ટરીમાં ચેપ લાગતા ઘણું વધુ લોહી વહી શકે છે. ગંભીર ટી.બી.માં ફેફસાંના ઉપલા ભાગને વધુ અસર થઈ શકે છે.
૧૫થી ૨૦ ટકા એકટીવ કેસમાં ચેપ ફેફસાંની બહાર ફેલાઈ શકે છે. જેનાથી અન્ય પ્રકારનો ટી.બી. થાય છે, જેને એક્સ્ટ્રાપલ્મોનરી ટી.બી. કહેવામાં આવે છે. આ પ્રકારનો ટી.બી. મોટા ભાગે ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો તથા નાના બાળકોને થાય છે. ટી.બી.ના વધુ ગંભીર અને વ્યાપક પ્રકારને ડિસસેમિનેટેડ ટ્યૂબરક્યુલોસિસ કહે છે, જે એકસ્ટ્રાપલ્મોનરી કેસમાં આશરે ૧૦ ટકા લોકોને હોય છે.