ગુજરાત કોંગ્રેસમાં ૩૩ જીલ્લા અને ૮ મહાનગરોમાં નવા પ્રમુખોની નિમણૂક માટે નિરીક્ષકોની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે. કોંગ્રેસને મજબૂત કરવા નીચલા સ્તરેથી સ્થાનિક નેતાઓ અને કાર્યકરો સાથે ચર્ચા કરવામાં આવશે, આવતા મહિને ૪૧ જીલ્લા અને શહેર એકમોમાં કોંગ્રેસ પ્રમુખોની નિમણૂક કરાશે.

ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનાં નિરીક્ષકો અને કોંગ્રેસ જીલ્લા પ્રમુખોની નિમણૂક માટે કવાયત હાથ ધરી છે. આગામી ૨૩ એપ્રિલનાં રોજ ૫ સભ્યોની ટીમ જીલ્લાઓની મુલાકાતે જશે તેમ નક્કી  કરાયું છે. જાણકારી મુજબ ગુજરાતમાં શાસન કરવા કોંગ્રેસ સ્થાનિક લેવલથી કામગીરી શરૂ કરી છે જેના માટે સ્થાનિક કક્ષાએ ફીડબેક મેળવવાનું શરૂ કરશે. ફીડબેક રિપોર્ટનાં આધારે આવતા મહિનાનાં અંત સુધી જીલ્લા પ્રમુખનો નિમણૂક કરશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જગદીશ ઠાકોરને સાબરકાંઠા, સિદ્ધાર્થ પટેલને મહેસાણા, ગેનીબેન ઠાકોરને પાટણની ટીમમાં જવાબદારી સોંપાઈ છે. વિમલ ચુડાસમાને દેવભૂમિ દ્વારકા, અમિત ચાવડાને રાજકોટ જિલ્લો અને ઋત્વીક મકવાણાને શહેર, પૂંજાભાઈ વંશને ગીર સોમનાથ, ઇન્દ્રવીજયસિંહ ગોહિલને અમરેલી, લાલજી દેસાઈને જૂનાગઢ શહેર, શૈલેષ પરમારને ગાંધીનગર જીલ્લો, તુષાર ચૌધરીને ગાંધીનગર શહેર, ચંદનજી ઠાકોરને વડોદરા શહેર, ભરતસિંહ સોલંકીને સુરત શહેરની જવાબદારી સોંપવામાં આવી છે.