ગુજરાતમાં હાલ ન તો વિધાનસભાની ચૂંટણી આવવાની છે, ન તો લોકસભાની. છતાં ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ થઈ છે. આવતીકાલે વાવ વિધાનસભા પેટાચૂંટણીનું પરિણામ આવવાનું છે. આ વચ્ચે મોટી ખબર આવી છે. ગુજરાતના રાજકારણના બે જૂના જોગી ફરીથી એક્ટિવ થયા છે. ગુજરાતના રાજકારણમાં જેમના માટે ભૂતપૂર્વ લખાય છે તેવા શંકરસિંહ વાધેલા અને ભરતસિંહ
સોલંકી રિ-એન્ટ્રી કરી રહ્યાં છે. જે ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના સંકેત આપી રહ્યાં છે.
શંકરસિંહ વાઘેલા માટે કહીએ તો તેઓ ક્યારેય રાજકારણમાંથી નિવૃત્ત થયા નથી તેવું કહી શકાય. તેઓ રાજકારણના લાંબી રેસના ઘોડા છે. ત્યારે તેમણે પોતાની નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરી છે. તેમણે પોતાની નવી પાર્ટીનું નામ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી રાખ્યું છે. આ માટે ચૂંટણી ચિન્હ ભાલો ફાળવવામાં આવ્યું છે. થોડા સમય પહેલા તેમની અમિત શાહ સાથેની મુલાકાતે પણ રાજકીય ચર્ચા શરૂ કરી હતી.
શંકરસિંહ વાઘેલાની રાજકીય સફર પર એક નજર કરીએ તો, ૧૯૯૬ માં ભાજપમાંથી અલગ થયા બાદ શંકરસિંહ વાઘેલાએ રાષ્ટ્રીય જનતા પાર્ટી બનાવી હતી, બાદમાં તેનું કાંગ્રેસમાં વિલિનીકરણ કરી દીધું હતું. કાંગ્રેસથી અલગ થયા બાદ તેઓ ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ‘જનવિકલ્પ’ સાથે જોડાયા હતા. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલાં વાઘેલા રાષ્ટ્રવાદી કાંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. ફેબ્રુઆરી-૨૦૨૧માં ગુજરાતમાં સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણી પહેલાં તેમણે કાંગ્રેસમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આમ, તેમણે રાજકારણમાં અનેક ગુંલાટો મારી છે.
મહિલાઓ સાથેના વિવાદ બાદ ભરતસિંહ સોલંકીનો રાજકીય વનવાસ કન્ફર્મ ગણાતો હતો. તેઓ ગુજરાત અને કોંગ્રેસના રાજકારણથી લગભગ બે વર્ષથી રિટાયર્ડ જેવા રહ્યાં. જોકે, હવે તેમનો રાજકીય વનવાસ પૂરો થયો હોય તેવું લાગી રહ્યું છે. ભરતસિંહ સોલંકીએ કમબેક કરવાનો પ્લાન બનાવી દીધો છે, એ પણ મોટાપાયે. ભરતસિંહ સોલંકી ૨૦ હજાર લોકો ભેગા કરશે. જોકે, ભરતસિંહ સોલંકની એન્ટ્રીથી કોંગ્રેસમાં ફરી ઊથલપાથલ થઈ શકે છે.
ભરતસિંહ સોલંકી ખુદ એક કાર્યક્રમ કરીને કમબેક કરી રહ્યાં છે. આ કમબેક સાદગીભર્યું નહિ, પરંતું ભવ્ય હશે. આ માટે અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર આવેલા સોલા-ભાડજમાં બેબીલોનની બાજુમાં નિસર્ગ ફાર્મમાં બપોરે ૪ઃ૩૦ વાગ્યે એક કાર્યક્રમનું આયોજન કરાયું છે. ૨૬ નવેમ્બરે ભરતસિંહનો જન્મદિવસ છે. આ દિવસે તેઓ ૭૧મા વર્ષમાં પ્રવેશ કરશે. આમંત્રણપત્રિકામાં ભરતસિંહ સોલંકીને જનયોદ્ધા ગણાવાયા છે. એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઉજવણી સંઘર્ષ, સાહસ અને સિદ્ધિની. ઉજવણી હંમેશાં હસતી અને સૌનાં હૃદયમાં વસતી વ્યક્તિની. ઉજવણી સૌ માટે લડતી, સૌ સાથે ભળતી અને સૌને ગમતી વ્યક્તિની. ઉજવણી જનયોદ્ધાના જન્મદિવસની અને યોદ્ધાના કમબેકની. આ સાથે જ જનયોદ્ધા ભરતસિંહ સાથે ગુજરાત કરશે કમબેક.