ગીર સોમનાથ જિલ્લામાં દિવાળી પર્વની પૂર્વ સંધ્યાએ ફૂડ અને ડ્રગ વિભાગે અચાનક બતાવેલી સક્રિયતાએ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. વર્ષ દરમિયાન નિષ્ક્રિય રહેતા વિભાગે ‘ફૂડ સેફટી પખવાડિયા’ના નામે જિલ્લાભરમાં વ્યાપક તપાસ હાથ ધરી છે. વિભાગે મીઠાઈ-ફરસાણની દુકાનો, દૂધ ડેરી, હોટલ-રેસ્ટોરન્ટ અને બેકરી સહિત ૨૩૩ સ્થળોએથી ૨૬૦ ખાદ્ય નમૂના એકત્રિત કર્યા છે. જોકે, આ નમૂનાઓના રિપોર્ટ આવે ત્યાં સુધીમાં તહેવાર પૂર્ણ થઈ જશે અને અનેક ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો લોકો આરોગી ચૂક્યા હશે તેવી ચિંતા વ્યક્ત થઈ રહી છે. બજારમાં ઓછી કિંમતે વેચાતા ચીઝ, બટર અને ઘી જેવી વસ્તુઓમાં ભેળસેળની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ તેમની સામે કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી.